- અમેરિકામાં બેસીને ખાલિસ્તાન આતંકવાદને ફેલાવતો શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના ષડયંત્રનો મામલો ગરમાયો છે. અમેરિકાએ ભારતને આ મુદ્દે એલર્ટ કર્યું એટલે નવા સવાલો પેદા થયા છે!
- કેનેડા અને પાકિસ્તાનમાં ભારતના ઘણા દુશ્મનોની છેલ્લા થોડા સમયમાં હત્યા થઇ છે. કેનેડાએ ખાલિસ્તાન આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા માટે ભારત સામે આંગળી ચિંધી એના કારણે બંને દેશના સંબંધો વણસ્યા છે!
ખાલિસ્તાનના આતંકવાદીઓની ગતિવિધિઓ જેટલી આપણા રાજ્ય પંજાબમાં નથી ચાલતી એટલી દુનિયાના બીજા દેશોમાં ચાલી રહી છે. પંજાબમાં તો આતંકવાદીઓ માથું ન ઊંચકી શકે એ માટે આપણી સરકારે તમામ બંદોબસ્ત કરી રાખ્યો છે. બીજા દેશોને પણ આપણી સરકારે કહ્યું છે કે, તમારા દેશમાં ભારત વિરોધી જે ગતિવિધિઓ ચાલે છે એને કંટ્રોલ કરો. જો તમે કોઇ પગલાં નહીં લો તો આપણા સંબંધો પર તેની સીધી અસર આવશે. કેનેડા સાથે આવું થયું પણ છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બીજા કેટલાંક દેશોમાં ખાલિસ્તાનીઓ ઉધામા મચાવતા રહે છે. દુનિયામાં જે ખાલિસ્તાની પ્રવૃતિઓ ચાલી રહી છે તેની પાછળ સૌથી મોટું માથું જો કોઇ હોય તો એ અમેરિકામાં બેસીને શીખ ફોર જસ્ટિસ નામની સંસ્થા ચલાવતો આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુ છે. આપણા દેશમાં 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટની ઉજવણી હોય કે વર્લ્ડ કપનું આયોજન હોય, પન્નુ વીડિયો રીલિઝ કરીને જાતજાતની ધમકીઓ આપતો રહે છે. સંતાઇને ફરતો ગુરપતવંત પન્નુ હવે થર થર કાંપી રહ્યો છે. તેને એ વાતનો ભય સતાવી રહ્યો છે કે, કોઇ મારી હત્યા કરી નાખશે. કેનેડા અને પાકિસ્તાનમાં જે રીતે ભારતના દુશ્મનોની એક પછી એક હત્યાઓ થઇ છે એ જોઇને પન્નુનો ફફડાટ વધી ગયો છે. ગુરપતવંત પન્નુ કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં ખાલિસ્તાનના નામે રેફરન્ડમ યોજે છે. ખાલિસ્તાનીઓને ઉશ્કેરે છે. પન્નુની હત્યાના ષડયંત્રના મામલે અમેરિકા અને ભારત વચ્ચે નિવેદનબાજી થઇ રહી છે. ભારત અને અમેરિકાના સંબંધો અત્યારે સોળે કળાએ ખીલેલા છે. આવા સમયે પન્નુના કારણે બંને દેશ વચ્ચે વિવાદ ઊભો થયો છે.
આખા વિવાદની શરૂઆત બ્રિટનના અખબાર ફાઇનાન્સિયલ ટાઇમ્સના એક અહેવાલથી શરૂ થઇ હતી. આ અહેવાલમાં એવું જણાવાયું હતું કે, શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ આ કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું હતું કે, આ મુદ્દે અમેરિકાએ ભારત સરકાર સામે આ કાવતરાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અહેવાલ પ્રસિદ્ધ થયો એ પછી અમેરિકાએ પણ સ્વીકાર કર્યો કે, આ વાત સાચી છે. અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિએન વોટસને કહ્યું કે, અમે આ વાતને ગંભીરતાથી લીધી છે. આપણા દેશે પણ કહ્યું કે, અમને અમેરિકા તરફથી આ અંગે જાણકારી મળી છે. અમેરિકાના ઇન્ટેલિજન્સના ઇનપુટને અમે પણ સિરીયસલી લઇ રહ્યા છીએ. આ ઘટના બાદ દેશ અને દુનિયામાં એવી ચર્ચાઓ પણ ચાલી છે કે, આખરે અમેરિકાને ગુરપતવંત પન્નુનું આટલું બધું પેટમાં કેમ બળે છે? ભારત સરકારે અમેરિકાને અનેક વખત અપીલો કરી છે કે, પન્નુને નાથો પણ અમેરિકા કોઇ જરૂરી પગલાં ભરતું નથી. પન્નુ અને તેની સંસ્થા શીખ ફોર જસ્ટિસ પર આપણા દેશે પ્રતિબંધ મૂક્યો છે. પન્નુને ઓનપેપર ટેરરિસ્ટ ડિકલેર કર્યો છે, એ પછી પણ અમેરિકા કેમ પન્નુને મન ફાવે એવું કરવા દે છે? અમેરિકા ભારત સાથે દોસ્તીના ઊંચા ઊંચા દાવાઓ કરે છે તો તેને કેમ મિત્રની ચિંતા થતી નથી? બીજી વાત એ કે, અમેરિકાએ કેમ એવું માની લીધું કે પન્નુની હત્યાના કાવતરા પાછળ ભારતનો હાથ છે? ખાલિસ્તાનીઓમાં અંદરોઅંદર પણ કંઇ ઓછી દુશ્મનાવટ નથી! માફિયા અને ખાલિસ્તાનીઓ વચ્ચે પણ વિવાદો અને વિખવાદો છે. એવા થોડાક જ પંજાબીઓ છે જે ખાલિસ્તાનને સપોર્ટ કરે છે. મોટા ભાગના પંજાબીઓ શાંતિથી રહેવા અને જીવવા ઇચ્છે છે. એ લોકો કહે છે કે, પન્નુ જેવા આતંકીઓ પંજાબીઓને બદનામ કરે છે અને સીધા સાદા પંજાબીઓનું જીવવું મુશ્કેલ બનાવે છે.










