- ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ 47 દિવસ પછી શાંત પડ્યું છે. હમાસે પચાસ બંધકોને છોડવાની તૈયારી બતાવી એ પછી ઇઝરાયેલે ચાર દિવસ માટે શસ્ત્રો મ્યાન કર્યા છે. સિઝ ફાયરની અવધિ પૂરી થશે એ પછી શું એ સૌથી મોટો સવાલ છે!
- હમાસે જ્યારે હુમલો કર્યો ત્યારે જ એ વાત નક્કી હતી કે, છેલ્લે તો ઇઝરાયેલ જ યુદ્ધમાં ફાવવાનું છે. હમાસે શું મેળવી લીધું? આ યુદ્ધે દુનિયાનું વાતાવરણ ડહોળી નાખ્યું છે. બધું થાળે પડતા લાંબો સમય લાગવાનો છે!
ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં આખરે નાનકડો વિરામ આવ્યો છે. હમાસે ઇઝરાયેલના પચાસ બંધકોને છોડવાની તૈયારી બતાવી એ પછી ઇઝરાયેલે ચાર દિવસ માટે યુદ્ધ રોકવા સંમતિ આપી છે. ઇઝરાયેલને એમ હતું કે, ગાઝા પર એટેક કરીને આપણે આપણા બંધકોને છોડાવી લેશું. જો કે, એવું થઇ શક્યું નથી. હમાસે ઇઝરાયેલના બંધકોને એવી જગ્યાએ રાખ્યા છે જ્યાં ઇઝરાયેલની સેના પહોંચી ન શકે. અત્યારે ચર્ચા એ વાતની છે કે, આ યુદ્ધવિરામ યુદ્ધનું પૂર્ણવિરામ છે કે અલ્પવિરામ? હમાસના કબજામાં ઇઝરાયેલના દોઢસો નાગરિકો છે. તેમાંથી હમાસ પચાસને જ છોડવાનું છે. સો બંધકો બાકી રહેશે. જેને છોડવામાં આવશે તેમાં 30 બાળકો, આઠ માતા અને બીજી 12 મહિલાઓનો સમાવેશ થાય છે. જે ડીલ થઇ છે એ મુજબ ઇઝરાયેલ પણ 150 પેલેસ્ટિયન કેદીઓને મુક્ત કરશે. બંને પક્ષે દસ દસના જૂથમાં બંધકોને છોડવામાં આવશે. બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામની સમાપ્તિ પછી શું એના વિશે કોઇ કંઇ ફોડ પાડીને કહેતું નથી. ઇઝરાયેલે યુદ્ધને રોકવાનું નક્કી કર્યું એટલે તેના દેશમાં જ વિરોધ શરૂ થયો છે. ઇઝરાયેલના લોકો કહે છે કે, આખા ગાઝાને સળગાવી દો. આ વખતે મૂકશો તો હમાસ ભવિષ્યમાં ફરીથી માથું ઊંચકશે. યુદ્ધ રોકવા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ પર અમેરિકા સહિત આખી દુનિયાનું પ્રેશર હતું.
યુદ્ધવિરામના ચાર દિવસ પણ શાંતિથી પસાર થશે કે કેમ એ સવાલ છે. એનું કારણે એ છે કે, ઘણા દેશો યુદ્ધ પૂરું થાય એવું ઇચ્છતા નથી. ઇઝરાયેલનો હાથ ઉપર રહે એ ઇરાન સહિત કેટલાંક મુસ્લિમ દેશોને પસંદ નથી. આ ચાર દિવસ દરમિયાન લેબેનોનના હિઝબુલ્લાહ, યમનના હૂતી કે સીરિયાના લડાકુઓએ જો કોઇ અટકચાળું કર્યું તો વાત ફરીથી બગડી જવાની છે. આ યુદ્ધમાં ગાઝાના બાર હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલે પણ અઢીથી ત્રણ હજાર લોકો ગુમાવ્યા છે. બંને પક્ષે મળીને પંદર હજાર લોકોનો ભોગ લેવાયો છે. ગાઝા પટ્ટી ખેદાનમેદાન થઇ ગઇ છે. ગાઝામાં હજારો ઇજાગ્રસ્તો સારવાર માટે ટળવળે છે. લાખો લોકોના ઘરબાર તબાહ થઇ ગયા છે. આર્થિક નુકશાનની તો કોઇ ગણતરી જ નથી. આ યુદ્ધથી કોને શું મળ્યું એનો હિસાબ મંડાઇ રહ્યો છે. હમાસે તારીખ 7મી ઓકટોબરે એક સાથે પાંચ હજારથી વધુ રોકેટો ઇઝરાયેલ પર છોડીને યુદ્ધનો આરંભ કર્યો ત્યારે જ એ વાત નક્કી હતી કે છેલ્લે તો આ યુદ્ધમાં ઇઝરાયેલ જ ફાવવાનું છે. ઇઝરાયેલ યુદ્ધ જીત્યું પણ તેની ઇમેજ તો ખરડાઇ જ છે. હમાસે જબરજસ્ત હુમલો કરી દીધો ત્યાં સુધી ઇઝરાયેલને ગંધ સુદ્ધાં ન આવી. ઇઝરાયેલ ઊંઘતું ઝડપાયું હતું. ઇઝરાયેલે આ યુદ્ધમાંથી ઘણું શીખવું પડશે. નાની સરખી બેદરકારી પણ ભારે પડી શકે છે. હમાસે ઇરાન અને બીજા દેશને વિશ્વાસમાં લઇને યુદ્ધ છેડ્યું હતું કે કેમ તેનો ચોક્કસ જવાબ હજુ મળ્યો નથી. હમાસને કદાચ એમ હતું કે, અમે યુદ્ધ છેડશું પછી ઇરાન અને બીજા કેટલાંક દેશો તેની મદદે આવશે. ઇરાન હંમેશાં ઇઝરાયેલને નેસ્તનાબુદ કરવાની વાતો કરતું રહે છે. ઇરાને હિઝબુલ્લાહ અને હૂતી મારફતે હમાસને મદદ ચોક્કસ કરી પણ યુદ્ધમાં સીધું ઝંપલાવવાથી દૂર રહ્યું છે. ઇરાનને અમેરિકાનો ડર છે. અમેરિકાએ ચોખ્ખી ધમકી આપી હતી કે, જો ઇરાન કે બીજો કોઇ દેશ વચ્ચે આવ્યો તો અમે ઇઝરાયેલ વતી લડવા આવી જશું. અમેરિકાએ તો પોતાનું યુદ્ધ જહાજ પણ ઇઝરાયેલની મદદે મોકલી આપ્યું હતું. સારી વાત એટલી કે, આ યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધ સુધી ન લંબાયું.










