માણસ માહિતીથી ઘેરાયેલો છે. એની આજુબાજુ જેટલો ઓક્સિજન છે એટલી જ માહિતી પણ છે. જગત ભલે આખું ઓક્સિજનથી ભરેલું હોય પરંતુ આપણે તો જીવવા પૂરતો જ ઓક્સિજન લઈએ છીએ. પરંતુ માહિતીની બાબતમાં એવું નથી બનતું. જ્યાંથી જેવી અને જેટલી માહિતી મળે એટલી મેળવતાં રહીએ છે. આપણે વાત માત્ર માહિતીની કરી રહ્યાં છીએ, જ્ઞાનની નહીં કારણ કે જ્ઞાન અને માહિતી આ બેમાં ઘણો ર્ફ્ક છે. જ્ઞાન મેળવવા અવસ્થા જોઈએ જ્યારે માહિતી મેળવવા વ્યવસ્થા કાફી છે. તમારી પાસે માહિતી આપતાં સાધનોની વ્યવસ્થા હોય એટલે પૂરતું છે. આંગળીના એક ટેરવે જગત આખાની માહિતી મળી રહે છે. પરંતુ આ જે મળે છે એ માત્ર અને માત્ર માહિતી જ છે એને જ્ઞાન માની લેવાની ભૂલ કરવી નહીં. જ્ઞાન મેળવવા માટે તો વ્યકિતએ એકદમ શૂન્યતાની અવસ્થાએ પહોંચવું પડે છે. જ્ઞાન, મન અને હૃદયને ઠંડક આપે છે જ્યારે એક હદથી વધારે માહિતી માણસને અકળાવે છે. જીવનમાં બધું જ જાણવું જરૂરી નથી હોતું. અજાણ હોવાનું પણ એક સૌંદર્ય છે. એવી ઘણીબધી બાબતો હોય છે જે જાણવી જરૂરી નથી હોતી, જેનાં થકી માનસિક તાણ જન્મે એવી બિનજરૂરી બાબતો જાણવાથી દૂર રહીએ તો જીવનની ઘણીખરી સમસ્યાઓથી બચી જવાઈ છે. અપડેટ રહેવામાં અપ ટુ ડેટ રહેવાનું ચૂકાઈ ન જવું જોઈએ. ખાસ કરીને આજનાં સમયમાં કે જ્યારે માણસની સવાર સોશિયલ મીડિયાથી પડે છે અને રાત પણ સોશિયલ મિડિયામાં જ થઈ જાય છે એવાં સમયે માહિતી મેળવવાનો વિવેક હોવો ખૂબ જ જરૂરી છે. જગત એટલે ક્ષણનો સરવાળો. આ જગતમાં ક્ષણે ક્ષણે સારી નરસી કેટકેટલીય ઘટનાઓ બનતી હશે જેનું કોઈ જ માપ નથી. શું આ તમામ ઘટનાઓ વિશે જાણવું જરૂરી છે ? દર મિનિટે અપલોડ થતાં તમારી સાથે જોડાયેલા માણસનાં સોશિયલ મીડિયા સ્ટેટ્સ જાણવા ખરેખર જરૂરી છે ? આ એક એવી દોડ છે જેનો કોઈ જ અંત નથી.માણસે જાતે જ સમજવું પડશે. આ વાત માત્ર મોબાઈલ પૂરતી જ સીમિત નથી. આ વાત માહિતીનાં બધા જ સ્ત્ર્રોતને લાગે વળગે એવી છે. ઘણીવાર અજ્ઞાનતા જ સુખ આપતી હોય છે.શખાસ કરીને સંબંધોની બાબતમાં આપણને છોડીને ગયેલા વ્યકિતઓ વિશે સતત માહિતી મેળવતા રહેવું, એમના સ્ટેટ્સ જોતા રહેવું આ બધુ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક હોય છે. અમુક લોકો નું કામ જ દુનિયાને ભ્રમિત કરવાનું હોય છે.શકદાચ એવું પણ બને કે સામેની વ્યકિત જાણતી હોય કે તમે એનાં જીવનમાં ડોક્યું કરી રહ્યા છો એટલે એ જાણી જોઈને તમને પીડા આપવા માટે તમારી પાસે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એવી માહિતી મોકલવાનો પ્રયત્ન કરશે જે તમને વધુ દુઃખી કરે. દુનિયા દિવસે ને દિવસે આભાસી બનતી જાય છે.આ બધાની વચ્ચે નક્કર માણસ શોધવો મુશ્કેલ છે.  


 એક યુવતીની વાત છે. એનાં પ્રેમી સાથે બ્રેક અપ થાય છે.બંને છૂટા પડે છે. પેલો પ્રેમી બીજી કોઈ યુવતીનાં પ્રેમમાં પડે છે. આ બાજુ પેલી યુવતી બ્રેક અપની પીડાથી ઉભરવા માટે મથામણ કરે છે. રોજ એક્સ પ્રેમીનાં વોટ્સપ સ્ટેટ્સ જોયે રાખે છે અને વધારે દુઃખી થતી જાય છે. જ્યારે જ્યારે એ એનાં એક્સ બોયફ્રેડ વિશે કશુંક જાણે છે ત્યારે ત્યારે એ તૂટી પડે છે. આ બાજુ પેલો ભાઈ પણ અમુક વાર જાણી જોઈને એવાં સ્ટેટ્સ મૂકવાનો પ્રયત્ન કરે છે કે જેનાં થકી એ સાબિત થાય કે એ ખુશ છે અને પોતાની નવી જિંદગીમાં સેટલ છે. યુવતી પક્ષે દિવસે ને દિવસે સમસ્યા વધતી જાય છે. આમાંથી નિકળવા માટે એ પોતાના એક મિત્રની સલાહ લે છે. એનો મિત્ર આખી વાત સાંભળી એને ખૂબજ સરસ સલાહ આપે છે. એ કહે છે કે એને પેલા ભાઈનો નંબર ડીલીટ મારીને સોશિયલ મીડિયાનાં દરેક પ્લેટફોર્મ પરથી એને અનફ્રેન્ડ કરવાની સલાહ આપે છે.શએ એને સમજાવે છે કે જે વ્યકિત હવે જીવનમાં છે જ નહીં એનાં વિશે જાણીને જીવ બાળવાનો કોઈ જ અર્થ નથી. દેખવું અને દાઝવું એનાં કરતાં દેખવું જ નહી કે જેથી દુઃખને જરા પણ જગ્યા ન મળે.   

 અમુક વ્યકિત, વસ્તુ કે સંસ્થા વિશે માહિતી જાણવાની જ્ઞાનમાં વધારો થતો નથી ઉલ્ટાનું તાણમાં વધારો થાય છે. આ જગતમાં એવી કેટલીય બાબતો છે જે જાણવાથી પીડા સિવાય કશુંજ મળવાનું નથી. દુનિયામાં બનતી બધી જ ઘટના આપણા જીવનને અસર પહોંચાડે જ એવું જરૂરી નથી. માનસિક તદુંરસ્તી માટે અમુક બાબતોમાં અજ્ઞાન રહેવું જ સલાહ ભરેલું હોય છે. જે માહિતી તમને પીડા આપતી હોય,જે માહિતી થકી તમને પોતાની જાત અને જીવન બંને પ્રત્યે અસંતોષ અને અણગમો પેદા થતો હોય એ માહિતી ન મેળવેલી સારી. આજનાં સમય સૌથી અગત્યનું અને મૂલ્યવાન જો કોઈ હોય તો એ છે માનસિક સ્વાસ્થ્ય. પદ,પ્રતિષ્ઠા અને પૈસો એક બાજુ અને માનસિક શાંતિ બીજી બાજુ. જો માણસ પાસે બધું જ હોય પરંતુ એનું ચિત્ત શાંત ન હોય તો બાકીની બીજી વસ્તુનો કોઈ જ અર્થ નથી. હવે સમય આવી ગયો છે માહિતી અંગે મેચ્યોરિટી કેળવવાનો. શું જાણવું, શું ન જાણવું કઈ બાબત વિશે વિચારવું કઈથી દૂર રહેવું એ વિશે યોગ્ય વિવેક હોવો જ જોઈએ. બે વાત ઓછી જાણીશું તો કશું બગડી નથી જવાનું. પીડામાંથી બહાર નીકળવા માટેનો એક જ રસ્તો છે અને તે છે અમુક સમય માટે પોતાની જાતને જગત થી અડગી કરી દેવી. આ આભાસી દુનિયામાં સુખી થવા કરતાં સુખી દેખાવાની એક જુદી જ દોડ ચાલી રહી છે. જ્યારે તમે કોઈ વ્યકિતને એક હદથી વધારે મહત્વ આપી દો છો ત્યારે જાણ્યે અજાણ્યે તમે એને તમારા સુખી ની ચાવી આપી દેતાં હોય છે.   

જીવનમાં એવી ઘણી બાબતો હોય છે જે જાણી જવાથી કશો જ ફાયદો નથી થવાનો ઉલ્ટાનું પીડા વધી જાય છે. આવું ન થાય એ માટે પોતાની જાતને જગત થી થોડા સમય માટે અડગી જ કરી દેવી પડશે. જે વ્યકિત, વસ્તુ કે ઘટના તમારા કાબૂ માં જ ન રહેવાની હોય એ વિશે જાણીને તમને શું ફાયદો થશે ? ઉલ્ટાનું નુકસાન થશે. અમુક લોકોનું કામ જ અન્યની માનસિક સ્થિરતાને ખંડિત કરવાનું હોય છે. જીવનનું કડવું સત્ય એ છે કે કોઈ જ માણસ તમને તમારી મરજી વિના સુખી પણ નથી કરી શકતો અને દુઃખી પણ નથી કરી શકતો. ઈમોશન કંટ્રોલ હોવો ખૂબ જ જરૂરી છે. કોઈ તમને પીડા આપવા જાત જાતનાં સ્ટેટ્સ મૂકે કે સ્ટોરી મૂકે અથવા તો અન્ય પાસેથી તમારા સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયત્ન કરે તો શું થયું. જો તમે એ સ્ટેટ્સ કે સ્ટોરી જોવ તો તકલીફ્ થાય ને. તમે એ જોવાનું એવોઈડ જ કરો તો પછી સામેની વ્યકિત નસ નવાઈનાં પ્રયત્ન કરે તમને કોઈ જ ર્ફ્ક પડશે નહી. પરંતુ એની વિરુદ્ધ જો એને ખબર પડી જશે કે તમને એમના વિશે જાણવામાં રસ છે તો એ જાણી જોઈએ ને રોજ નવા નાટક કરશે. મોબાઇલમાં બે અદભુત ફ્ંકશન આપ્યા છે જેને બ્લોક અને ડિલીટ કહે છે.માનસિક શાંતિ માટે આનો સમયસર ઉપયોગ કરતાં શીખી જવું પડશે. આપણા જીવનમાં કઈ વસ્તુને આવકારવું અને કંઈને અવગણવું એ તો આપણે જ નક્કી કરવાનું હોય છે.  


  • Follow us on: