કેન્દ્ર સરકારે આખરે નો ડિટેન્શન પોલિસી ખતમ કરવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણયે એ ચર્ચાને ફરીથી વેગ મળ્યો છે કે જે લગભગ દોઢ દાયકા અગાઉ નો ડિટેન્શન પોલિસી લાવવાનો આધાર બની હતી. આ બાબત રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 સાથે જોડાયેલો છે
જેની કલમ 16માં એ જોગવાઇ કરવામાં આવી હતી કે શાળાઓમાં આઠમા ધોરણ સુધી કોઇપણ બાળકને નાપાસ કરવામાં નહીં આવે એટલું જ નહીં તેને તે પછીના ધોરણમાં જતો રોકી પણ નહીં શકાય. આ નિર્ણય પાછળનો વિચાર એ હતો કે તમામ બાળકો માટે ઓછામાં ઓછું આઠમા ધોરણ સુધીનું શિક્ષણ સુનિશ્ચિત કરી શકાય. એવું જોવાયું હતું કે આર્થિક અમને સામાજિક રીતે પછાત પરિવારના બાળકોમાં નાપાસ થવાના કારણે ડ્રોપઆઉટ વધી જાય છે. ઘણીવાર શિક્ષણમાં નબળા હોય તેવા બાળકો માટે એવી ધારણા બંધાઇ જતી હોય છે કે તે ભણવાવાળો બાળક નથી. તેને કારણે તેના પરિવારમાં તેને અનિય કામમાં લગાવી દેવાની વૃત્તિ જોર પકડવા લાગે છે અને પછી તેને શિક્ષણથી વંચિત કરી દેવામાં આવે છે. નો ડિટેન્શન પોલિસી પાછળની વિચારસરણી એવી પણ હતી કે બાળકનું સતત મૂલ્યાંકન કરવામાં આવે કે જેના આધારે તેને પાસ અથવા નાપાસ જાહેર કરવાના બદલે તેની ખામીઓની માહિતી મેળવીને તેનું નિદાન કરવાનું કામ નિરંતર થયા કરે. એવું માનવામાં આવ્યું હતું કે કાચી વયના બાળકોની પાત્રતા જોવાનો ખાસ મતલબ નથી કેમ કે દરેકે દરેક બાળક શીખી શકે છે. સવાલ તેને સાચી રીતે શિખવાડવાની પ્રક્રિયા શોધવાનો અને તેને અપનાવવાનો છે કે જે મૂળભૂત રીતે શિક્ષણ તંત્રની જવાબદારી છે.










