ઉત્તરાખંડમાં શિવજીની પાંચ ખાસ મંદિર છે જેને પંચ કેદાર કહેવામાં આવે છે. તેમાં કેદારનાથ, તુંગનાથ, રૂદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર મંદિર સામેલ છે. તુંગનાથ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં લગભગ 3600 મીટર ઊંચાઈએ આવેલું છે. જે દુનિયામાં સૌથી વધારે ઊંચાઈએ બનેલું શિવ મંદિર છે. તુંગનાથ દર્શન માટે સોનપ્રયાગ પહોંચવાનું હોય છે. ત્યાંથી ગુપ્તકાશી, ઉખીમઠ, ચોપટા થઈને તુંગનાથ પહોંચી શકાય છે. શ્રાવણ મહિનામાં અહીં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.


માન્યતા છે કે આ મંદિર લગભગ હજાર વર્ષ જૂનું છે અને આ જગ્યાનો સંબંધ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. તુંગનાથથી લગભગ 1.5 કિમી દૂર ચંદ્રશિલા એકદમ પીક પર આવેલું છે. તેની ઊંચાઈ લગભગ 4000 મીટર છે. ચોપટાથી તુંગનાથ ટ્રેકિંગમાં લગભગ 1 થી 1.30 કલાકનો સમય લાગે છે. ઉત્તરાખંડમાં ગઢવાલના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલ એક પર્વત ઉપર તુંગનાથ આવેલું છે.

તુંગનાથમાં શિવજીના હ્રદય અને ભુજાઓની પૂજા થાય છે

ઉત્તરાખંડમાં આવેલા તુંગનાથ મંદિરમાં ભગવાન શિવના હ્રદય અને ભુજાઓની પૂજા થાય છે. તે કેદારનાથ અને બદ્રીનાથની વચ્ચે આવેલું છે. હિમાલયના ખોળામાં આવેલું તુંગનાથ મંદિર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ જગ્યાની ખાસિયત એ છે કે અહીં આવીને દરેક વ્યક્તિ પોતાના તણાવને ભૂલી જાય છે, અહીં શાંતિનો અનુભવ થવા લાગે છે. તુંગનાથ મંદિર પોતાના ધાર્મિક મહત્ત્વ સાથે-સાથે પોતાના કુદરતી સૌંદર્ય માટે પણ પ્રખ્યાત છે.

તુંગનાથ પહોંચતા જ ચારેય તરફ વિવિધ રંગના ફૂલો જોવા મળી શકે છે. આ સિવાય અહીં પક્ષીઓનો કલરવ અને ઝરણાનું દૃશ્ય તમને થોડી સેકેન્ડ માટે પોતાની તરફ આકર્ષિત કરી લેશે.

તુંગનાથ મંદિરની ખાસિયત-

આ મંદિર સાથે જોડાયેલી અનેક કહાનીઓ અને માન્યતાઓ પ્રસિદ્ધ છે. એવું કહેવામાં આવે છે કે અહીં ભગવાન શિવજીના હ્રદય અને ભુજાઓની પૂજા કરવામાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે દરિયા કિનારાથી આ મંદિરની ઊંચાઈ 12,000 ફૂટથી વધારે છે. આ કારણે આ મંદિરની આસપાસના પહાડો ઉપર બરફ જામેલો રહે છે.

તુંગનાથ મંદિર પાછળની વાર્તા

આ મંદિર અંગે પૌરાણિક કથા પ્રચલિત છે. એવું કહેવામાં આવે છે કે મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી પાંડવો ઉપર પોતાના ભાઈઓની હત્યાનો આરોપ લાગ્યો હતો. એવામાં પાંડવો ભાતૃહત્યાના પાપથી મુક્તિ મેળવવા ઇચ્છતા હતાં. જેના માટે ભગવાન શંકરના આશીર્વાદ મેળવવા જરૂરી હતા પરંતુ ભગવાન શિવ પાંડવોને મળવા ઇચ્છતા નહોતાં.

પાંડવો તેમના દર્શન માટે કાશી ગયા ત્યાં પણ તેઓ મળ્યાં નહીં. ત્યારે તેઓ શિવજીને શોધતા માટે હિમાલય સુધી પહોંચ્યાં પરંતુ ભગવાને તેમને ત્યાં પણ દર્શન આપ્યાં નહીં. ભગવાન શિવ કેદારનાથ જઈને વસ્યા પરંતુ પાંડવોએ પાક્કો નિર્ણય કરી રાખ્યો હતો. જેથી તેઓ શિવજીનો પીછો કરીને કેદારનાથ પહોંચી ગયાં.

ભગવાન શિવજીએ ત્યાં સુધી એક બળદનું સ્વરૂપ ધારણ કરી લીધું હતુ પરંતુ પાંડવોને શંકા થવા લાગી હતી. એવામાં ભીમે પોતાનું વિશાળ સ્વરૂપ ધારણ કરીને બે પહાડો ઉપર પોતાના પગ ફેલાવી દીધા. અન્ય બધી જ ગાય અને બળદો ત્યાંથી રવાના થઈ ગયા પરંતુ શંકર સ્વરૂપમાં બળદ ભીમના પગ નીચેથી કેવી રીતે પસાર થાય? ભીમ તે બળદને પકડવા ગયો ત્યારે તે ધીમે-ધીમે જમીનની અંદર જવા લાગ્યો. ભીમે બળકના એક ભાગને પકડી લીધો. પાંડવોની ભક્તિ અને દૃઢ સંકલ્પ જોઈને ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા અને તેમણે પાંડવોને દર્શન આપીને પાપમાંથી મુક્ત કરી દીધા.

તે સમયથી ભગવાન શંકરના બળદની પીઠની આકૃતિ પિંડ સ્વરૂપમાં કેદારનાથમાં પૂજવામાં આવે છે. માન્યતા છે કે જ્યારે ભગવાન બળદના સ્વરૂપમાં અંતર્ધ્યાન થયા ત્યારે તેમના ધડથી ઉપરનો ભાગ કાઠમંડૂમાં પ્રકટ થયો. હવે ત્યાં પશુપતિનાથનું મંદિર છે. શિવજીની ભુજાઓ તુંગનાથમાં, મુખ રૂદ્રનાથમાં, નાભિ મદમદેરમાં અને જટા કલ્પેરમાં પ્રકટ થઈ એટલે આ ચારેય સ્થાનો સહિત કેદારનાથને પંચકેદાર કહેવામાં આવે છે. અહીં શિવજીના ભવ્ય મંદિર બનેલાં છે.

તુંગનાથ ક્યારે અને કઈ રીતે જવું

મે મહિનાથી નવેમ્બર સુધી કોઈપણ સમયે તુંગનાથના દર્શન માટે જઈ શકાય છે. પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરીના સમયગાળામાં લોકો અહીં આવવું પસંદ કરે છે. આ દરમિયાન અહીં ખૂબ જ વધારે બરફ હોય છે. તુંગનાથના દર્શન કરવા માટે ઋષિકેશથી ગોપેશ્વર થઈને ચોપટા જવું પડે છે. ત્યારબાદ તુંગનાથ માટે સ્થાનિક સાધન મળી શકે છે. આ સિવાય અન્ય રસ્તો ઋષિકેશથી ઉખીમઠ થઈને જાય છે. ઉખીમઠથી ચોપતા થઈને તુંગનાથ મંદિર માટે વાહન સરળતાથી મળી શકે છે.


  • Follow us on: