• BCCI અને PCB એશિયા કપ માટેના હાઇબ્રિડ મોડલ પર સહમત થયા
  • ઝકા અશરફ અને જય શાહ ટૂર્નામેન્ટ અંગે ચર્ચા કરવા ડરબનમાં મળ્યા હતા
  • ઝકા અશરફે PCBની કમાન સંભાળી ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી

ભારત અને પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. BCCI અને PCB બંને તેમના મતભેદોને દૂર કરીને એશિયા કપ 2023 માટેના હાઇબ્રિડ મોડલ પર સહમત થયા છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમ હવે એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય. બે હરીફ રાષ્ટ્રો વચ્ચે સંમતિ બનતા એશિયા કપ 2023નું શેડ્યૂલ પણ શુક્રવાર 14 જુલાઈના રોજ રિલીઝ થવાનું છે. ઝકા અશરફ અને જય શાહ આગામી ટૂર્નામેન્ટ અંગે ચર્ચા કરવા ડરબનમાં મળ્યા હતા.

અશરફે પાકિસ્તાની મીડિયાને કહ્યું, “આ એક સારી શરૂઆત છે અને આવી વધુ બેઠકો થશે. અમે વધુ બેઠકો યોજવા અને સંબંધો સુધારવા માટે સંમત થયા છીએ. આ એક સારી શરૂઆત છે." છેલ્લા ઘણા મહિનાઓથી ટૂર્નામેન્ટની યજમાની પર ચાલી રહેલા વિવાદ પર, બંને પક્ષોએ પરસ્પર સંમતિથી આગળ વધવાનું નક્કી કર્યું. અગાઉ, પીસીબીના તત્કાલીન વડા નજમ સેઠીએ પ્રારંભિક વિરોધ બાદ દાવો કર્યો હતો કે પીસીબી એસીસીના પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલને સ્વીકારવામાં ખુશ છે. પરંતુ જ્યારે ઝકા અશરફે સેઠી પછી પીસીબીની કમાન સંભાળી ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.

ઝકા અશરફે હાઇબ્રિડ પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવતા દાવો કર્યો હતો કે તેઓ પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમવાનું સ્વીકારશે નહીં, જ્યારે બાકીની 9 મેચ શ્રીલંકામાં રમવાની હતી. પરંતુ હવે જ્યારે બંને દેશોના બોર્ડ ડરબનમાં મળ્યા હતા, ત્યારે બંને હાઇબ્રિડ મોડલ પર સંમત થયા છે અને એશિયા કપ 2023નું શેડ્યૂલ 14 જુલાઈએ રિલીઝ થવાનું છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અશરફ અને શાહ બંનેએ પરસ્પર આમંત્રણોની આપલે કરી હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહને પાકિસ્તાનમાં એશિયા કપ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યારે શાહે અશરફને ભારતમાં ICC વર્લ્ડ કપ માટે આમંત્રણ આપ્યું હતું. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “અમે એશિયા કપ અંગે ચર્ચા કરી છે અને હાઇબ્રિડ મોડલને મંજૂરી આપવામાં આવી છે. એકબીજાને આમંત્રણ આપવા જેવું કંઈ નહોતું."

  • Follow us on: