• એશિયા કપ 2022માં ભારતીય ટીમની સતત બીજી હાર
  • શ્રીલંકાએ ભારતને છ વિકેટથી હરાવી દીધું
  • પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પર બધું નિર્ભર રહેશે

એશિયા કપ 2022ના સુપર-ફોર તબક્કામાં ભારતીય ટીમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી મેચમાં શ્રીલંકાએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું. ભારતે શ્રીલંકાને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે એક બોલ બાકી રહેતાં પ્રાપ્ત કરી લીધો હતો.

પાકિસ્તાન અને હવે શ્રીલંકા સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા માટે એશિયા કપની ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. હવે ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે સંપૂર્ણપણે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પર બધું નિર્ભર રહેશે. આજે (7 સપ્ટેમ્બર) પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ છે. જો પાકિસ્તાન અહીં જીતશે તો ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને પછી તેની છેલ્લી મેચ માત્ર ઔપચારિકતા બની રહેશે.

આવી સ્થિતિમાં ભારત પાસે ફાઇનલમાં પહોંચવાની આટલી જ તકો

- અફઘાનિસ્તાન પોતાની મેચમાં પાકિસ્તાનને હરાવી દે

- ત્યારબાદ ભારતીય ટીમ પોતાની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવી દે

- બીજી તરફ શ્રીલંકા પણ પાકિસ્તાનને હરાવી દે

- ભારતની નેટ રન રેટ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન કરતા સારી હોવી જોઈએ

અફઘાનિસ્તાન માટે ઈતિહાસ રચાશે

ભારતીય ટીમની થોડી આશા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પર છે. અફઘાનિસ્તાન માટે પાકિસ્તાનને હરાવવું એ માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા જેવું છે. અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે બે ટી-20 અને ચાર વનડે રમી છે જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે, જો અફઘાનિસ્તાન પાકિસ્તાનને હરાવશે, તો તે ઇતિહાસ રચશે. આ સાથે ભારતીય ટીમની આશાઓ પણ અકબંધ રહેશે.

ભારતનો નેટ રન પણ ઘણો ખરાબ

એશિયા કપ 2022ના સુપર-ફોર ટેબલમાં શ્રીલંકા બે મેચમાં ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ બે પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. પાકિસ્તાન અને શ્રીલંકા બંનેનો નેટ રનરેટ + માં છે. ભારત અને અફઘાનિસ્તાન અનુક્રમે ત્રીજા અને ચોથા નંબર પર છે. ભારતના નેટ રન રેટની વાત કરીએ તો તે હાલમાં -0.125 છે.

પાકિસ્તાન જીતતાની સાથે જ ભારત બહાર થઈ જશે

જો આજે પાકિસ્તાનની ટીમ જીતશે તો અફઘાનિસ્તાન અને ભારત બંને એશિયા કપમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં શ્રીલંકા અને પાકિસ્તાન 11 સપ્ટેમ્બરે યોજાનારી ફાઇનલમાં ટકરાશે. જો કે, શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની હાર બાદ એક વાત તો નક્કી છે કે હવે 11 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ફાઈનલ નથી થઈ રહી.

રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી અને તેણે ટૂંક સમયમાં જ પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોહિતે સૂર્યકુમાર યાદવ સાથે ત્રીજી વિકેટ માટે 97 રનની ભાગીદારી કરીને ભારતીય દાવને સંભાળ્યો હતો. રોહિત શર્માએ 41 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા. સૂર્યાએ પણ 29 બોલમાં 34 રનની ઇનિંગ રમી હતી. બંનેની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતે 20 ઓવરમાં આઠ વિકેટે 173 રન બનાવ્યા હતા.

શનાકા-રાજપક્ષે મેચ છીનવી લીધી

જવાબમાં પથુમ નિસાંકા (52 રન) અને કુસલ મેન્ડિસ (57 રન)એ 97 રનની ભાગીદારીમાં શ્રીલંકાને શાનદાર શરૂઆત અપાવી હતી. જો કે તે પછી શ્રીલંકાની ટીમે વારંવાર અંતરાલમાં વિકેટ ગુમાવી હતી, જેના કારણે તેનો સ્કોર ચાર વિકેટે 110 થયો હતો. આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું હતું કે ભારત મેચ જીતી શકશે, પરંતુ દાસુન શનાકા અને રાજપક્ષેની શાનદાર બેટિંગે ભારત પાસેથી મેચ છીનવી લીધી. દાસુન શનાકા 33 અને ભાનુકા રાજપક્ષે 25 રને અણનમ રહ્યા હતા.

  • Follow us on: