• ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ
  • વાજપેયી રાજકારણી જ નહીં પરંતુ કવિ, પત્રકાર અને ક્રિકેટના મોટા ચાહક હતા
  • વાજપેયીએ ક્રિકેટનો ઉપયોગ કરીને બંને દેશોને નજીક લાવવાનો પ્રયાસ કર્યો હતો

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ, 2018ના રોજ નિધન થયું હતું. આજે તેમની છઠ્ઠી પુણ્યતિથિ પર આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. વાજપેયી માત્ર રાજકારણી જ નહીં પરંતુ કવિ, પત્રકાર અને ક્રિકેટના મોટા ચાહક પણ હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધો સારા નથી, પરંતુ તે અટલ બિહારી વાજપેયી હતા જેમણે ક્રિકેટનો ઉપયોગ કરીને બંને દેશોને નજીક લાવવાનો પ્રયાસ કર્યો હતો.

વાજપેયીએ પાડોશી દેશો સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો

વર્ષ 2004માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ SAARC દેશોની બેઠક બોલાવીને પાડોશી દેશો સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારત સરકારે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનનો પ્રવાસ કરવા કહ્યું અને તે દિવસોમાં કેપ્ટન સૌરવ ગાંગુલી હતો. તે સમયે બંને દેશો વચ્ચે પાંચ વનડે અને ત્રણ ટેસ્ટ મેચ રમવાની હતી. ભારતીય ટીમ 19 વર્ષ પછી પાકિસ્તાન ગઇ હતી અને ટીમમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગ જેવા મહાન ખેલાડીઓ સામેલ હતા.

માત્ર રમત જ નહીં પણ દિલ પણ જીતો...

ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર રત્નાકર શેટ્ટી કહે છે કે વડાપ્રધાન વાજપેયી વ્યક્તિગત રીતે ટીમને મળ્યા હતા અને ટીમ સાથે એક કલાક વિતાવ્યો હતો. આખી ટીમે પીએમને એક સહી કરેલું બેટ ભેટમાં આપ્યું હતું. પરંતુ અટલ બિહારી વાજપેયીએ ટીમ ઈન્ડિયા માટે ગિફ્ટ તૈયાર કરી દીધી હતી. તેમણે ભારતીય ટીમને એક બેટ પણ ગિફ્ટ કર્યું હતું, જેના પર લખ્યું હતું કે, 'માત્ર રમત જ નહીં પરંતુ દિલ પણ જીતવા માટે શુભકામનાઓ.'

વાજપેયી સુરક્ષાનું મુલ્યાંકન કરવા પહોંચ્યા હતા પાકિસ્તાન

તમને યાદ અપાવી દઈએ કે વનડે સિરીઝ ઘણી રોમાંચક રહી હતી, જેમાં ભારતે 3-2થી જીત મેળવી હતી. ટીમના ભૂતપૂર્વ મેનેજર રત્નાકર શેટ્ટીનું કહેવું છે કે પ્રવાસ પહેલા તેઓ સુરક્ષા વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવા પાકિસ્તાન ગયા હતા. પાકિસ્તાની લોકો વાજપેયીથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ તેમના પોસ્ટર લઈને વાજપેયીના નારા લગાવી રહ્યા હતા.

  • Follow us on: