ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે. જ્યાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાને ભારતમાં જ ટેસ્ટ સિરીઝમાં ન્યુઝીલેન્ડના હાથે 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ હવે ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવા માટે આકરા પડકારનો સામનો કરવો પડશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતે આ સિરીઝ જીતવી પડશે. પરંતુ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના ખરાબ ફોર્મે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે. હવે આ બે મહાન બેટ્સમેનોના ફોર્મને લઈને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ભારતીય બેટ્સમેનો અંગે કમિન્સનું નિવેદન
એક અહેવાલ મુજબ, પેટ કમિન્સે કહ્યું, “વાસ્તવમાં તે જાણવું મુશ્કેલ છે. દરેક ખેલાડી સારા ફોર્મ કે ખરાબ ફોર્મમાંથી પસાર થાય છે. જો તમારી ટેસ્ટ કારકિર્દી લાંબી છે, તો તમે કેટલાક નાના ઉતાર-ચઢાવ જોશો. અમારું કામ દેખીતી રીતે ભારતીય બેટ્સમેનોને શક્ય તેટલું શાંત રાખવાનું છે, તેથી અમે રાહ જોઈશું. આ રોહિત-કોહલી ચોક્કસપણે ભારતના સૌથી અનુભવી ખેલાડીઓમાં સામેલ છે, તેથી અમે જોઈશું કે શું થાય છે.
રોહિત-કોહલી ન્યુઝીલેન્ડ સામે ફ્લોપ રહ્યા
તાજેતરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયા એક પણ મેચ જીતી શકી નથી. આ સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. આ બંનેના ફોર્મને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 3-0થી મળેલી મોટી હાર માટે પણ રોહિત અને કોહલીને જવાબદાર ગણવામાં આવ્યા છે. આ સિરીઝમાં રોહિતે 91 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલી ત્રણ મેચમાં માત્ર 93 રન જ બનાવી શક્યો હતો. જેમાં એક અડધી સદી પણ સામેલ હતી.