ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. ગત વખતે ટીમ ઈન્ડિયાને આ મેદાન પર ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયાને આકરા પડકારનો સામનો કરવો પડશે. ટીમ ઈન્ડિયા પણ આ મેચ માટે પર્થમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે, જ્યારે આ મેચ પહેલા પૂર્વ ભારતીય દિગ્ગજના નિવેદનથી ટીમ ઈન્ડિયાનું ટેન્શન થોડું વધી ગયું છે.
હરભજન સિંહે આપ્યું મોટું નિવેદન
એક યુટ્યુબ ચેનલ પર વાત કરતા ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિન બોલર હરભજન સિંહે કહ્યું, “આ સિરીઝ 50-50 થવાની છે. ટીમ ઈન્ડિયાને તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ દ્વારા ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બેટ્સમેનોને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે શું કરવું તે જાણતા નથી. લોકોએ કહ્યું કે સિનિયર ખેલાડીઓને રણજી ટ્રોફી રમવાની હોય છે. ઓસ્ટ્રેલિયાની સ્થિતિ અને પીચો સારી હશે.
https://twitter.com/CricTalk29/status/1858096845307977851
હરભજને વધુમાં કહ્યું કે, કેએલ રાહુલની છેલ્લી સિરીઝમાં ઘણી ટીકા થઈ હતી, પરંતુ મને લાગે છે કે આપણે પૂજારા જેવા ખેલાડીની જરૂર છે જે પીચ પર સમય પસાર કરી શકે અને બોલને જુનો કરી શકે. ઓસ્ટ્રેલિયા આ સિરીઝમાં થોડું આગળ રહેવાનું છે કારણ કે ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ થોડો ડગમગી ગયો છે.
ન્યુઝીલેન્ડના હાથે 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો
ઓસ્ટ્રેલિયા પહેલા ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સાથે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમી હતી. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને આ સિરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. હવે આ સિરીઝ ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલને લઈને ઘણી મહત્વની બની રહી છે. ટીમ ઈન્ડિયા પર હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર થવાનો ખતરો છે.