ગૌતમ ગંભીર હેડ કોચ બન્યા બાદથી ટીમ ઈન્ડિયાએ માત્ર વિદેશમાં જ નહીં પરંતુ ઘરઆંગણે પણ સિરીઝ હારવાનું શરૂ કર્યું છે. 2024માં ન્યુઝીલેન્ડે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં ભારતને હરાવ્યું હતું. ત્યારબાદ તેઓએ હવે ઘરઆંગણે ODI સિરીઝમાં પણ ભારતને હરાવ્યું છે.
આના કારણે ભારતીય ફેન્સ હેડ કોચ ગૌતમ ગંભીર પર ગુસ્સે છે. ફેન્સ આ હાર માટે ગંભીરને દોષી ઠેરવી રહ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ગંભીરને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
ગૌતમ ગંભીરની સતત વધી રહી છે મુશ્કેલીઓ
ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ગૌતમ ગંભીરના નિર્ણયો ફક્ત T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે કામ કરી શક્યા છે. તેમના નિર્ણયો વનડે અને ટેસ્ટમાં ઉલટા પડ્યા છે, જેના કારણે ફેન્સ હાર માટે તેમને દોષી ઠેરવી રહ્યા છે. ટીમ અને બેટિંગ ક્રમમાં સતત ફેરફારથી ફેન્સ નિરાશ થયા છે. ન્યુઝીલેન્ડની બી ટીમ સામે ઘરઆંગણે સિરીઝ હારવી ભારત માટે અત્યંત શરમજનક છે.
હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ સિવાય ભારતની આખી ODI ટીમ આ સિરીઝમાં રમતમાં હતી. અક્ષર પટેલને ODI ફોર્મેટમાંથી બહાર કરવાનો નિર્ણય હવે ફેન્સની સમજની બહાર છે. પરિણામે ગૌતમ ગંભીરને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.
વિરાટ કોહલીએ બનાવ્યા 124 રન
ત્રીજી વનડે મેચની વાત કરીએ તો 338 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતી ભારતીય ટીમ 50 ઓવર પણ રમી શકી ન હતી અને 46મી ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલીએ 124 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તેને બીજા છેડેથી કોઈ સપોર્ટ મળ્યો ન હતો. હર્ષિત રાણાએ કોહલીને સપોર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ 44મી ઓવરમાં અડધી સદી ફટકાર્યા બાદ પેવેલિયન પાછો ફર્યો હતો.
આ પછી ભારતીય ટીમ 300 રન સુધી પહોંચે તે પહેલાં જ પડી ગઈ હતી. વિરાટ કોહલીએ 108 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 124 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ઝેકરી ફોઉલ્ક્સ અને ક્રિશ્ચિયન ક્લાર્કે 3-3 વિકેટ લીધી હતી. જેડન લેનોક્સે 2 વિકેટ લીધી હતી. કાયલ જેમિસનને 1 વિકેટ મળી.
આ પણ વાંચો: T20 World Cup 2026: જો બાંગ્લાદેશ વર્લ્ડકપમાંથી બહાર થશે, તો આ ટીમની અચાનક લાગશે લોટરી!