ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માં શનિવારે 26 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયેલા દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર લુંગી એનગીડીએ ઈજા બાદ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
લુંગી એનગીડીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી, જેમાં તેની તબિયત પૂછનાર વ્યક્તિનો આભાર માન્યો અને કહ્યું કે બધું બરાબર છે. પ્રિયાંશ આર્યનો કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે લુંગી એનગીડીને માથામાં ઈજા થઈ હતી. આ પછી તેને એમ્બ્યુલન્સમાં મેદાનમાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં તેની સારવાર કરવામાં આવી. લુંગી એનગીડીને શનિવારે જ રજા આપવામાં આવી.
ત્રીજા ઓવરમાં બની હતી આ ઘટના
આ ઘટના પંજાબ કિંગ્સની ઈનિંગના ત્રીજા ઓવરમાં બની હતી. મુલાકાતી ટીમે 2.3 ઓવરમાં કોઈ નુકસાન વિના 43 રન બનાવ્યા હતા. પ્રિયાંશ આર્યના બોલ પર મિડ-ઓફ પર કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે લુંગી એનગીડી ઘાયલ થયો હતો. અક્ષર પટેલે ઓફ-સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો, અને પ્રિયાંશ આર્યએ મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલને સમય આપવામાં નિષ્ફળ ગયો.
લુંગી એનગીડી કેચ લેવા માટે પાછળની તરફ ડાઈવ કર્યો પરંતુ બોલ સુધી પહોંચવામાં નિષ્ફળ ગયો. તે જમીન પર પડી ગયો અને તેને માથામાં ઈજા થઈ.

મેચ 15 મિનિટ માટે રોકી દેવામાં આવી
દિલ્હી કેપિટલ્સના ફિઝિયો, સ્થાનિક ડોક્ટર સાથે, લુંગી એનગીડીની સારવાર માટે પહોંચ્યા. મેચ 15 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી. આ સમય દરમિયાન એક એમ્બ્યુલન્સ મેદાન પર આવી અને લુંગી એનગીડીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ સમાપ્ત થાય તેના થોડા સમય પહેલા IPLએ લુંગી એનગીડીની ઈજા અંગે અપડેટ આપ્યું. તેમાં કહેવામાં આવ્યું હતું કે લુંગી એનગીડીને માથા અને ગરદનના દુખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે.
લુંગી એનગીડી ન કરી શક્યો બોલિંગ
દિલ્હી કેપિટલ્સનો સ્ટાર બોલર પંજાબ કિંગ્સ સામે બોલિંગ કરી શક્યો ન હતો. ટીમ 265 રનના ટાર્ગેટનો બચાવ કરવામાં નિષ્ફળ ગઈ, પંજાબ કિંગ્સ સામે 5 વિકેટથી હારી ગઈ. કેએલ રાહુલની ઐતિહાસિક ઈનિંગ નિર્થક સાબિત થઈ ગઈ. તે આઈપીએલમાં 150 થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો