ચેન્નાઈ સુપર કિંગ્સની આઈપીએલ 2026 મેચ પહેલા દરેક ફેનના મનમાં એક સવાલ રહે છે, શું એમએસ ધોની આજે રમી રહ્યો છે? ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ પહેલા આ ચર્ચા થઈ રહી છે.
ટુર્નામેન્ટની શરૂઆત પહેલા થયેલી ઈજાને કારણે એમએસ ધોની હાલમાં રમતથી દૂર છે. પરિણામે તે ગુજરાત ટાઈટન્સ સામેની મેચ માટે ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. 26 એપ્રિલે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાનો વિજય ક્રમ જાળવી રાખવાનો પ્રયાસ કરશે, જ્યારે ગુજરાત ટાઈટન્સ સતત બે હાર બાદ પરત ફરવાનો પ્રયાસ કરશે.
મેચ પહેલા જ્યારે ટીમ શીટ જાહેર કરવામાં આવી, ત્યારે એમએસ ધોનીનું નામ ફરી એકવાર તેમાં ગાયબ હતું. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બંને ટીમોએ 1-1 ફેરફાર કર્યો. CSKએ સરફરાઝ ખાનની જગ્યાએ ઉર્વિલ પટેલને ટીમમાં સામેલ કર્યો, જ્યારે ગુજરાતે પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ અરશદ ખાનને ટીમમાં સામેલ કર્યો.
ધોની ટૂંક સમયમાં ફરશે પરત?
ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે મેચ પહેલા ધોનીની ફિટનેસ અંગે અપડેટ આપ્યું હતું. તેમને કહ્યું હતું કે ધોની સતત સુધારો કરી રહ્યો છે અને પાછો ફરવાની નજીક છે. તેમને વધુમાં કહ્યું હતું કે, "આપણે ધોનીને કેવી રીતે ભૂલી શકીએ? તે સારી પ્રગતિ કરી રહ્યો છે. તે સ્વસ્થ થવાના માર્ગ પર છે અને તેની પાસેથી અપેક્ષા મુજબ બધું કરી રહ્યો છે." પ્રેક્ટિસ સેશન દરમિયાન ધોની દોડતો પણ જોવા મળ્યો હતો, જે સૂચવે છે કે તે ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરી શકે છે.
ધોની ફિટ હોવા છતાં કેમ નથી રમી રહ્યો?
મીડિયા રિપોર્ટ મુજબ એમએસ ધોનીએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે, પરંતુ ટીમ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને તે પોતાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખી રહ્યો છે. CSK હવે સંતુલન શોધી રહ્યું હોય તેવું લાગે છે, અને ધોની કોઈ ફેરફાર કરવા માગતો નથી.
સીઝનની શરૂઆતમાં સતત 3 મેચ હાર્યા બાદ, CSK એ આગામી 4 માંથી 3 મેચ જીતીને પ્લેઓફની આશા જીવંત રાખી. તેથી ટીમ તેનું વર્તમાન કોમ્બિનેશન જાળવી રાખવા માગે છે. શક્ય છે કે ધોની ભવિષ્યમાં કાર્તિક શર્માની જગ્યાએ પરત ફરે, જેને 14.2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો પરંતુ તેને અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી. પરંતુ ટીમ તેને ભવિષ્યના રોકાણ તરીકે ધ્યાનમાં લઈ રહી છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો