વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ શમી હાલમાં ટીમ ઈન્ડિયાથી દૂર છે. આ ટૂર્નામેન્ટ બાદ શમીની સર્જરી થઈ હતી. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં તેને તક મળશે તેવી આશા હતી. પરંતુ આ સિરીઝ પહેલા તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો ન હતો. જો કે હવે તે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે. જો કે આ પહેલા શમી બંગાળની રણજી ટીમમાંથી બહાર થઈ ચૂક્યો છે. રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
રણજી ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે શમી
હાલમાં શમીનું રિહેબ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ચાલી રહ્યું છે. એવું માનવામાં આવતું હતું કે તે રણજી ટ્રોફીની શરૂઆતની મેચમાં બંગાળ માટે ભાગ લેશે અને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવશે. રિપોર્ટસ અનુસાર, શમીનું નામ પ્રથમ બે રણજી મેચ માટે બંગાળ ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે બંગાળ 11 ઓક્ટોબરથી રણજી ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યાં તેનો મુકાબલો ઉત્તર પ્રદેશ સાથે થશે.
શમીએ ભારતીય ટીમ સાથે જોડાતા પહેલા 2 ડોમેસ્ટિક મેચ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ હવે લાગે છે કે શમી બંગાળ માટે પ્રારંભિક સત્રમાં ભાગ લઈ શકશે નહીં. બંગાળ તરફથી આકાશદીપ અને ઝડપી બોલર મુકેશ કુમાર રણજી ટ્રોફીમાં ભાગ લેશે. પરંતુ હાલમાં શમીને બંગાળ તરફથી રમવા અંગે શંકા છે.
ન્યૂઝીલેન્ડ સામે વાપસી કરી શકે છે શમી
સૂત્રએ શમીની વાપસી અંગે વાત કરી હતી. સૂત્ર અનુસાર, શમી ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ સિરીઝમાં વાપસી કરી શકે છે. મોહમ્મદ શમીનું રિહેબ મોટાભાગે યોગ્ય દિશામાં જઈ રહ્યું છે. ન્યુઝીલેન્ડ ટેસ્ટને લક્ષ્ય તરીકે રાખવામાં આવી રહી છે. તે BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.
સિરીઝ 16 ઓક્ટોબરથી શરૂ થશે
ભારતીય ટીમ 16 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. હાલમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી. બીજી મેચ 24મી ઓક્ટોબરથી રમાશે જ્યારે છેલ્લી મેચ 1લી નવેમ્બરથી રમાશે. ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં આ સિરીઝમાં ભાગ લેશે.