• જાડેજાએ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું
  • બોલરોની રેન્કિંગમાં અશ્વિન ચોથા નંબર પર છે
  • શ્રેયસ 10 સ્થાનની છલાંગ સાથે 16મા સ્થાન પર પહોંચ્યો

ICCએ ટેસ્ટ ફોર્મેટમાં ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને ધૂમ મચાવી છે. જાડેજા છેલ્લા કેટલાક સમયથી ઈજાના કારણે ટીમની બહાર છે, તેમ છતાં ટેસ્ટ રેન્કિંગમાં તેનો દબદબો યથાવત છે. વર્ષ 2022 સમાપ્ત થવા જઈ રહ્યું છે અને આ વર્ષે આઈસીસીની આ છેલ્લી ટેસ્ટ રેન્કિંગ છે. જેમાં જાડેજાએ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. તે 369 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે તેના પછી બીજા નંબર પર સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન આવે છે. તેને 343 પોઈન્ટ છે.

બોલરોની રેન્કિંગમાં અશ્વિન ચોથા નંબર પર છે

અશ્વિને બોલિંગ રેન્કિંગમાં પણ ધૂમ મચાવી છે. તે પહેલાથી જ ટોપ-5માં હતો. પરંતુ બાંગ્લાદેશ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે તેને 1 સ્થાનનો ફાયદો મળ્યો છે. તે સંયુક્ત રીતે ચોથા નંબર પર પહોંચી ગયો છે. ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પહેલાથી જ ચોથા નંબર પર છે. રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે કેટલાક મહિનાઓથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. તેણે છેલ્લી T20 મેચ દુબઈમાં હોંગકોંગ સામે રમી હતી. આ મેચ 31 ઓગસ્ટ 2022ના રોજ રમાઈ હતી. જ્યારે અશ્વિને બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ શ્રેણીમાં કુલ 7 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન અશ્વિને પણ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું અને 3 ઇનિંગ્સમાં 110 રન બનાવ્યા હતા.

શ્રેયસે 10 સ્થાનની છલાંગ લગાવી

બાંગ્લાદેશ સામે બે ટેસ્ટની ત્રણ ઇનિંગ્સમાં બે અર્ધી સદી ફટકારનાર શ્રેયસ અય્યરે બેટિંગ રેન્કિંગમાં પણ ધમાલ મચાવી છે. તેને 10 સ્થાનનો ફાયદો થયો. આટલી લાંબી છલાંગ લગાવીને શ્રેયસે ટોપ-20માં પ્રવેશ કર્યો છે. હવે આ મિડલ ઓર્ડર બેટ્સમેન 16મા નંબર પર છે. આ સિવાય પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને બે સ્થાનનું નુકસાન થયું છે. તે 2 સ્થાન સરકીને 14મા નંબર પર પહોંચી ગયો છે. આ સાથે ચેતેશ્વર પૂજારાને પણ ત્રણ સ્થાનનું નુકસાન થયું છે. તે 19મા નંબર પર આવી ગયો છે. જ્યારે કેપ્ટન રોહિત શર્મા 9મા અને રિષભ પંત છઠ્ઠા નંબર પર છે.


  • Follow us on: