ભારતીય ક્રિકેટ ટીમના ઘાતક ઝડપી બોલર મોહમ્મદ શમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા માટે વધુ રાહ જોવી પડશે. શમીને અનફિટ જાહેર કરવામાં આવ્યો છે. તેણે તાજેતરમાં પુનરાગમન કર્યું હતું. શમી રણજી ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતા જોવા મળ્યા હતા. પરંતુ હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ ખતરામાં છે. BCCIએ કહ્યું કે તે હાલમાં ટીમ ઈન્ડિયામાં પરત ફરી શકશે નહીં.


બોર્ડર-ગાવસ્કર નહીં રમે શમી

શમીના ઘૂંટણમાં સમસ્યા હતી. તેણે તેની સારવાર પણ કરાવી. તે ફિટ અનુભવી રહ્યો હતો. આ કારણોસર ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ રમ્યો. પરંતુ હવે સમસ્યા વધી ગઈ છે. શમી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની બાકીની મેચોમાં રમી શકશે નહીં. બીસીસીઆઈએ સત્તાવાર વેબસાઈટ પર શમીને લઈને સંપૂર્ણ અપડેટ શેર કરી છે.

ડોમેસ્ટિક રમ્યા પછી ક્યાં આવી સમસ્યા?

શમી રણજી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો. આ પછી BCCIની મેડિકલ ટીમે તેની તપાસ કરી. શમીના ઘૂંટણ પર કામના ભારણને કારણે તેમાં થોડો સોજો આવી ગયો છે. તેને સાજા થવામાં વધુ સમય લાગશે. તેથી શમી હવે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. તે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમાં રમી શકશે નહીં.


શું ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમી શકે શમી?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેથી તેને શરૂ થવામાં હજુ બે મહિના બાકી છે. જો ત્યાં સુધીમાં શમી ઠીક થઈ જાય છે તો ટીમ ઈન્ડિયાને તક મળી શકે છે. પરંતુ હાલમાં તેમના વાપસી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈંગ્લેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. પરંતુ ભારતે હજુ સુધી જાહેરાત કરી નથી. મહત્વની વાત એ છે કે ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ જાહેર કર્યું નથી.


  • Follow us on: