રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ ગુમાવશે અને જસપ્રીત બુમરાહ પર્થ ટેસ્ટમાં તેની કેપ્ટનશીપ કરશે. રોહિત શર્મા તાજેતરમાં બીજી વખત પિતા બન્યો છે અને તેણે પોતાના પરિવારને સપોર્ટ કરવા માટે બ્રેક લીધો છે. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદે પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માની ગેરહાજરી અંગે મોટું નિવેદન આપ્યું છે. 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા કીર્તિ આઝાદનું માનવું છે કે એવો કોઈ ખેલાડી નથી જેને રિપ્લેસ ન કરી શકાય.

ન્યુઝીલેન્ડ સામે ફ્લોપ રહ્યો હિટમેન

રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે 6 ઇનિંગ્સમાં માત્ર 91 રન બનાવ્યા હતા. કિર્તિ આઝાદે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા રોહિત વિશે કહ્યું, "હા, તે ચિંતાનો વિષય છે. રોહિત શર્મા ઘણા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. એવું કોઈ નથી જેને બદલી શકાય નહીં. હું કહેવા માંગુ છું કે તે ટીમ ઈન્ડિયાની સૌથી મજબૂત કડી છે, તેથી અમે આશા રાખીએ છીએ કે તે આગામી સિરીઝમાં સારું પ્રદર્શન કરશે.

જસપ્રીત બુમરાહની કેપ્ટનશિપનું એનાલિસિસ

જસપ્રીત બુમરાહે અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે, જેમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડના હાથે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તે ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરશે.

બુમરાહની કેપ્ટનશીપ અંગે કીર્તિ આઝાદે કહ્યું, "હું કપિલ દેવ સાથે રમ્યો છું, જેઓ વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાંના એક હતા. સુકાનીપદને કારણે તેમના પ્રદર્શનને ક્યારેય અસર થઈ નથી. તે બધું સંજોગો પર નિર્ભર કરે છે. જો તમારી ટીમ સારું પ્રદર્શન કરી રહી છે અને તમારા દ્વારા કરવામાં આવેલા ફેરફારો સારા પરિણામ આપે છે તો તમે એક સારા કેપ્ટન છો જો ફેરફારો તમને પરિણામ નથી આપી રહ્યા તો તમારે તમારી કેપ્ટનશીપમાં સુધારો કરવાની જરૂર છે.