- કેએલ રાહુલ IPL દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો
- કેએલ રાહુલની સર્જરી સફળ થઈ હવે NCAમાં રિહેબ કરશે
- કેએલ રાહુલ એશિયા કપમાં વાપસી કરી શકે છે
ભારતનો મહત્વનો બેટ્સમેન કેએલ રાહુલ IPLમાં ઈજાગ્રસ્ત થયો હતો. તે માત્ર આઈપીએલ જ નહીં પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી પણ બહાર થઈ ગયો હતો. તેની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે, હવે તે બેંગ્લોર સ્થિત એનસીએમાં રિહેબ કરશે. કેએલ રાહુલ એશિયા કપ માટે ભારતીય ટીમમાં સામેલ થઈને વાપસી કરી શકે છે.

લોકેશ રાહુલ આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશિપ કરી રહ્યો હતો. તેને જાંઘમાં ઈજા થઈ હતી, જેના પછી તે સમગ્ર આઈપીએલ સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ પણ મૂકી હતી. તેની સર્જરી કરાવવાની હતી, જે હવે થઈ ગઈ છે. રાહુલ IPL બાદ WTC ફાઈનલમાંથી પણ બહાર થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે WTC ફાઇનલમાં ભારતને હરાવીને ટાઈટલ જીત્યું છે. લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહેલો રાહુલ હવે વાપસી કરી શકે છે.

કેએલ રાહુલ એશિયા કપ 2023માં વાપસી કરી શકે છે
કેએલ રાહુલ ટૂંક સમયમાં રિહેબ શરૂ કરશે, તે મંગળવારથી બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ શરૂ કરશે. એશિયા કપ 2023 માટે રાહુલને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકામાં થશે. જોકે, ઓફિશિયલ શેડ્યૂલ હજુ આવ્યું નથી. એશિયા કપ 2023નું ફોર્મેટ 50 ઓવરનું હશે. રાહુલની વાપસી ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે.

એશિયા કપ 2023નું યજમાન દેશ પાકિસ્તાન હતું, પરંતુ સુરક્ષાના મામલે BCCI પોતાની ટીમને પાકિસ્તાન મોકલવા માગતું નથી. આ જ કારણ છે કે એશિયા કપનું શેડ્યૂલ હજુ આવ્યું નથી. સમાચાર મુજબ એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાઈ શકે છે. કેટલીક મેચો પાકિસ્તાનમાં રમાશે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ તેની મેચો શ્રીલંકામાં રમશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ પણ શ્રીલંકામાં જ યોજાશે.