મુંબઈના પૂર્વ કેપ્ટન અને પસંદગીકાર મિલિંદ રેગેનું બુધવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. મિલિંગ રેગેએ 76 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. મિલિંદ રેગેની તબિયત બગડતા તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સવારે 6 વાગ્યે તેમનું અવસાન થયું હતું. તેઓ સુનીલ ગાવસ્કરના બાળપણના મિત્ર હતા.


26 વર્ષની ઉંમરે આવ્યો હતો હાર્ટઅટેક

મિલિંદ રેગેના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રિપોર્ટ અનુસાર ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડરને 26 વર્ષની ઉંમરે એક વાર હાર્ટ એટેક પણ આવ્યો હતો. જોકે તે પછી તેઓ મેદાનમાં પાછા ફર્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને 2 પુત્રો છે.

મિલિંદ રેગેની ક્રિકેટ કારકિર્દી

મિલિંદ રેગેને ક્યારેય ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી નહીં, પરંતુ તેમણે ચોક્કસપણે પ્રથમ કક્ષાની ક્રિકેટ રમી. મિલિંદે પોતાની કારકિર્દીમાં 52 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. જેમાં, બેટિંગ કરતી વખતે તેમણે 1532 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમનો શ્રેષ્ઠ સ્કોર 67 રન અણનમ રહ્યો હતો. આ ઉપરાંત મિલિંદે બોલિંગ કરતી વખતે 126 વિકેટ લીધી હતી. બોલિંગમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 84 રન આપીને 6 વિકેટ લેવાનું હતું.

સચિન તેંદુલકરે વ્યક્ત કર્યો શોક

મિલિંદ રેગેના નિધન પર ભૂતપૂર્વ ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો છે. સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું, “મિલિંદ રેગે સરના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તે મુંબઈના એક સાચા ક્રિકેટર હતા જેમણે શહેરના ક્રિકેટમાં મોટું યોગદાન આપ્યું હતું. તેમણે અને અન્ય CCI સભ્યોએ મારામાં સંભાવના જોઈ અને મને CCI માટે રમવાનું કહ્યું, જે, હવે હું પાછળ ફરીને જોઉં છું, તે મારી કારકિર્દીની એક ઐતિહાસિક ક્ષણ હતી.

રવિ શાસ્ત્રીએ દુઃખ વ્યક્ત કર્યુ

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ટ્વીટ કરતા જણાવ્યું કે પ્રિય મિત્ર મિલિંદ રેગેના નિધનથી ખરેખર દુઃખ થયું. મુંબઈ અને ટાટાના ક્રિકેટમાં તેમના સર્વાંગી યોગદાન માટે એક સાચા ચેમ્પિયન. સર્વોત્કૃષ્ટ ગુરુ. રાજ અને પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. ભગવાન તેમના આત્માને શાંતિ આપે

 


  • Follow us on: