એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, પણ આ વખતે ફેન્સને એક મોટો ફેરફાર જોવા મળશે. એશિયન ગેમ્સની તારીખો અને ભારત-વેસ્ટઈન્ડીઝ સીરિઝની તારીખો એકસાથે આવતી હોવાથી મુખ્ય કોચ ગૌતમ ગંભીર જાપાન નહીં જઈ શકે. તેમની ગેરહાજરીમાં પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળશે. આ ટુર્નામેન્ટમાં ભારતની કમાન શ્રેયસ અય્યરના હાથમાં રહેશે, જ્યારે સપોર્ટ સ્ટાફમાં સુનીલ જોશી અને ઋષિકેશ કાનિટકર જેવા અનુભવી નામો સામેલ છે.
ભારતીય ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં રમશે
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર એ છે કે તેમણે ગ્રુપ સ્ટેજની મેચો રમવી નહીં પડે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને સીધો ક્વાર્ટર ફાઇનલમાં જ પ્રવેશ આપી દેવાયો છે. શ્રેયસ અય્યરની ટીમ બીજા ક્વાર્ટર ફાઇનલથી પોતાની સફર શરૂ કરશે. તેમની સામે કઈ ટીમ હશે તેનો નિર્ણય હવે પછી થશે.
