2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સૌથી ઝડપી દોડવીર ગુરિન્દરવીર સિંહ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી હતી. પરંતુ આ વર્ષની શરૂઆતમાં નવો નેશનલ રેકોર્ડ બનાવનાર પંજાબનો 25 વર્ષીય દોડવીર પુરુષોની 100 મીટર દોડની હીટ્સમાં બહાર થઈ ગયો હતો. ચાહકો મૂંઝવણમાં છે કે ગુરિન્દરવીર તેની હીટમાં બીજા સ્થાને રહેવા છતાં સેમિફાઇનલ માટે ક્વોલિફાય કેમ ન થઈ શક્યો. આ પાછળનું કારણ કોમનવેલ્થ ગેમ્સનો એક નિયમ છે જેના વિશે બહુ ઓછા ચાહકો જાણતા હશે.

ગુરિન્દરવીરને સેમિફાઇનલની ટિકિટ કેમ ન મળી?

ગુરિન્દરવીરનો સમય 10.39 સેકન્ડ હતો અને તેણે બીજું સ્થાન મેળવ્યું હતું. જોકે, 10.39 સેકન્ડના સમયને કારણે તે 73 દોડવીરોમાં 28 મા સ્થાને રહ્યો હતો, જ્યારે સેમિફાઇનલમાં ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછો 10.24 સેકન્ડનો સમય જરૂરી હતો. પરિણામે, તેની હીટમાં બીજા સ્થાને રહેવા છતાં તે ટોચ-17 માં સ્થાન જ મેળવી શક્યો નહીં અને બહાર થઈ ગયો.

કોચે હેમસ્ટ્રિંગની ઈજાનો ખુલાસો કર્યો

રેસ પછી ગુરિન્દરવીરના કોચ જેમ્સ હિલિયરે તેના નિરાશાજનક સમય પાછળનું કારણ જાહેર કર્યું. કોચે સમજાવ્યું કે ગુરિન્દરવીર છેલ્લા મહિનાથી હેમસ્ટ્રિંગની ઇજાથી પીડાઈ રહ્યો હતો, જેને ટીમે જાણી જોઈને મીડિયા અને લોકોથી છુપાવી રાખ્યું હતું.

ગુરિન્દરવીર દેશનો સૌથી ઝડપી દોડવીર

મે 2026 માં રાંચીમાં આયોજિત ફેડરેશન કપ દરમિયાન ગુરિન્દરવીર સિંહે ઇતિહાસ રચ્યો હતો. તેણે માત્ર 10.09 સેકન્ડમાં રેસ પૂર્ણ કરીને દેશના સૌથી ઝડપી દોડવીર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તે 10.10 સેકન્ડથી ઓછા સમયમાં રેસ પૂરી કરનાર પ્રથમ ભારતીય રનર પણ બન્યો હતો. જોકે, તે કોમનવેલ્થ ગેમ્સમાં આ સિદ્ધિનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

આ પણ વાંચો-  CWG 2026 Day 7 : આજે મેડલનો થશે વરસાદ ! બોક્સિંગમાં ધમાકા સાથે 7 ગોલ્ડ માટે ભારત ઉતરશે મેદાનમાં, જુઓ શેડ્યૂલ