આઈપીએલ 2026 (IPL 2026) ના સમાપન સાથે જ ભારતીય ક્રિકેટ જગતમાં મોટા ફેરફારોના સંકેતો મળી રહ્યા છે. ભારતીય ટીમને ટી૨૦ ફોર્મેટમાં નવી ઊંચાઈઓ પર લઈ જનાર સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ શકે છે. આટલું જ નહીં, છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા સૂર્યાને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેના આગામી પ્રવાસ માટે ભારતીય ટીમમાંથી પણ બહાર રાખવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. BCCI હવે સંપૂર્ણપણે નવા વિઝન સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ ભારતીય ટી૨૦ ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી શકે છે.
ગૌતમ ગંભીર સાથે ચર્ચા બાદ BCCI નો મોટો નિર્ણ
BCCIના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, ચીફ સિલેક્ટર, બોર્ડના સભ્યો અને ટીમ મેનેજમેન્ટે મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે લાંબી ચર્ચા કર્યા બાદ આ કડક નિર્ણય લીધો છે. 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીતમાં અધિકારીએ જણાવ્યું કે, "સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભલે ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હોય, પરંતુ તેના વર્તમાન ફોર્મ અને ભવિષ્યની રણનીતિને જોતાં મેનેજમેન્ટે હવે આગળ વધવાનો (નવા ખેલાડીઓને તક આપવાનો) સમય આવી ગયો હોવાનું સ્વીકાર્યું છે. આગામી સિરીઝ માટે તેની પસંદગી નહીં થાય અને આ અંગે સૂર્યાને પણ ટૂંક સમયમાં જાણ કરી દેવામાં આવશે."













