ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બહુપ્રતિક્ષિત T20I સીરિઝ આજથી પ્રારંભ થઈ રહ્યો છે.નાગપુરના VCA સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્લેઈંગ ઈલેવનને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ઈજાના કારણે સ્ટાર યુવા બેટર તિલક વર્મા સીરિઝની શરૂઆતી મેચોમાંથી બહાર થઈ ગયો છે, જેના કારણે નંબર 3નું સ્થાન ખાલી પડ્યું હતું. જોકે, કેપ્ટન સૂર્યાએ સ્પષ્ટ કર્યું છે કે આ સ્થાન પર અનુભવી શ્રેયસ ઐયરને બદલે અન્ય એક ખેલાડીને પ્રાથમિકતા આપવામાં આવશે.

તિલક વર્માની જગ્યાએ કોણ?

ઉલ્લેખનીય છે કે, તિલક વર્માના પેટની સર્જરી થઈ હોવાથી તે પ્રથમ 3 મેચ માટે અનફિટ છે. તેમના સ્થાને સ્ક્વોડમાં શ્રેયસ ઐયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવા માટે શ્રેયસને હજુ રાહ જોવી પડી શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફોડ પાડતા કહ્યું કે, નંબર 3 પર ઈશાન કિશન બેટિંગ કરશે. કારણ કે ઈશાન અમારી આગામી T20I વર્લ્ડ કપ ટીમનો મહત્વનો હિસ્સો છે અને તેને ટીમમાં પ્રથમ પસંદગી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.

શ્રેયસ ઐયરને કેમ નહીં મળે તક?

સૂર્યાએ વધુમાં ઉમેર્યું હતું કે,અમારી જવાબદારી છે કે અમે વર્લ્ડ કપ પ્લાનિંગના ભાગરૂપ ખેલાડીઓને પહેલી તક આપીએ. શ્રેયસ ઐયરને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં લાવવામાં આવ્યો છે, પરંતુ ઈશાન કિશન શરૂઆતથી જ સ્કીમ ઓફ થિંગ્સમાં છે, તેથી તે શ્રેયસ કરતા પહેલા તકનો હકદાર છે. કેપ્ટને એ પણ સંકેત આપ્યો કે જો ચર્ચા નંબર 4 કે 5 માટે હોત તો કદાચ શ્રેયસના નામ પર વિચાર થઈ શક્યો હોત, પરંતુ ટોપ ઓર્ડરમાં ઈશાન કિશન જ શ્રેષ્ઠ વિકલ્પ છે. પોતે કયા ક્રમે રમશે તે અંગે સૂર્યાએ કહ્યું કે તે ટીમની જરૂરિયાત મુજબ કોઈપણ પોઝિશન પર રમવા તૈયાર છે.

ટીમ ઈન્ડિયાની સંભવિત સ્ક્વોડ:

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, ઈશાન કિશન (વિકેટકીપર), આવેશ ખાન અને જીતેશ શર્મા.



  • Follow us on: