ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ આથર્ટને ભારત-પાકિસ્તાન મેચોને લઈને અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો દાવો છે કે, ICC ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો 'નાણાકીય જરૂરિયાતો' પૂરી કરવા માટે કરવામાં આવે છે. તેઓ આટલે અટકતાં નથી, તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે ક્રિકેટ સંપૂર્ણપણે બંધ કરી દેવી જોઈએ કારણ કે આ રમત વ્યાપક તણાવ અને દુષ્પ્રચાર માટે ખોટી માહિતી ફેલાવનાર એજન્ટ બની ગયો છે.
એશિયા કપની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો
એક જાણીતા અખબારમાં આથર્ટને હાલમાં એશિયા કપની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પાકિસ્તાના ચેરમેન મોહસીન નકવી વિજેતા ટ્રોફી લઈને ચાલ્યા ગયા કારણ કે ભારતીય ટીમે તેમની પાસેથી તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.આથર્ટનના કહેવા પ્રમાણે 2013 પછીથી ભારત અને પાકિસ્તાન દરેક ICC ઇવેન્ટના ગ્રુપ સ્ટેજમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે, જેમાં ત્રણ 50-ઓવર વર્લ્ડ કપ, પાંચ T20 વર્લ્ડ કપ અને ત્રણ ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે. ભલે તે શરૂઆતનો સિંગલ રાઉન્ડ-રોબિન હોય કે મલ્ટી-ગ્રુપ, મેચ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી ભારત- પાકિસ્તાનની મેચ જ યોજાય.
પહલગામ આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચે તણાવ
તેમણે કહ્યું કે, હામાં જ પહલગામ આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચે તણાવ ખૂબ જ વધેલો છે. જેમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 26 ભારતીયોની હત્યા કરી હતી અને ભારતે મે મહિનામાં લશ્કરી કાર્યવાહી કરી હતી.
આ મેચનું આર્થિક મહત્વ ખૂબ જ મોટું છે
આથર્ટને લખ્યું છે કે, આ મેચનું આર્થિક મહત્વ ખૂબ જ મોટું છે. ICC ટુર્નામેન્ટના પ્રસારણ અધિકારો આશરે 3 અબજ USD છે. કેમ કે, દ્વિપક્ષીય મેચોનું મહત્ત્વ ઘટ્યુ છે, ICC ઇવેન્ટ્સનું મહત્ત્વ વધી ગયું છે.તેમણે કહ્યું કે 'હવે સમય આવી ગયો છે કે, અધિકારોવાળી વ્યવસ્થા ખતમ થાય, જ્યાં બે હરીફો ICC ઇવેન્ટ્સમાં એકબીજાનો સામનો કરે છે. એશિયા કપમાં પણ બંને ટીમો દર રવિવારે ત્રણ અઠવાડિયાની ટૂર્નામેન્ટમાં સામનો કરતી હતી.