ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાંચીમાં રમાયેલી પ્રથમ વનડે મેચ પછી, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે 'તણાવ' હોવાની ચર્ચાએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. મેચ જીત્યા બાદ ડ્રેસિંગ રૂમ તરફ જતા એક વાયરલ વીડિયોમાં એવું લાગ્યું કે વિરાટ કોહલીએ કોચ ગંભીરને જોઈને પણ અવગણના કરી અને કોઈ પણ પ્રકારના ગ્રીટિંગ કે હસ્તધૂનન વિના આગળ વધી ગયા. આ ક્લિપના આધારે મીડિયાના અમુક વર્ગોમાં બંને વચ્ચે 'રુખાવટ' હોવાની અટકળો તેજ થઈ.
શું છે મામલો?
વધુમાં, એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે માત્ર કોહલી જ નહીં, પણ કેપ્ટન રોહિત શર્માના પણ ગંભીર સાથેના સંબંધો સહજ નથી. આ ખેલાડીઓ T20Is અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી 2027 વર્લ્ડ કપ સુધી ODI પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, પરંતુ નવી ટીમ મેનેજમેન્ટ તરફથી તેમને કોઈ 'ગેરંટીડ સ્લોટ' આપવામાં આવી રહ્યો નથી. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો હતો કે રાંચીમાં નેટ સેશન દરમિયાન કોહલી અને ગંભીર વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી.













