આજે દેશભરમાં ઉત્સાહભેર 'રાષ્ટ્રીય રમતગમત દિવસ' (National Sports Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય હોકીના મહાન જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. દેશમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને યુવા પેઢીને રમતો તરફ પ્રોત્સાહિત કરવા માટે આ દિવસ વિશેષ રીતે ઉજવવામાં આવે છે.

નવી દિલ્હીમાં ભવ્ય કાર્યક્રમ અને ઉદ્ઘાટન

આ ખાસ અવસર પર દેશની રાજધાની દિલ્હી સ્થિત મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા આ ખાસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રમતગમત ક્ષેત્રના અનેક દિગ્ગજ ખેલાડીઓ, રમતપ્રેમીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉજવણીમાં ભાગ લેશે.

'એક ઘંટા ખેલ કે મેદાન મેં' અભિયાનનો પ્રારંભ

આજના દિવસને વધુ યાદગાર બનાવવા અને નાગરિકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરવા માટે "એક ઘંટા ખેલ કે મેદાન મેં" (Ek Ghanta Khel Ke Maidan Mein) ખાસ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક નાગરિક દરરોજ ઓછામાં ઓછો એક કલાક રમતના મેદાનમાં વિતાવે અને શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખે તે માટે પ્રોત્સાહિત કરવાનો છે.

આ પણ વાંચો - Neeraj Chopraએ ડાયમંડ લીગની ફાઇનલમાં મારી એન્ટ્રી