- આઇપીએલ પહેલાં સ્ટાર ખેલાડીઓને આરામ કરવાનો સમય મળશે નહીં
- ટેસ્ટ પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચ સ્વરૂપે રમાય તેવી પૂરી સંભાવના
- IPL પહેલાં ત્રણ ટીમો સામે 19 મુકાબલા રમશે, રાજકોટમાં એક ટી20 મુકાબલો
ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાની નેશનલ ટીમ માટે ત્રણ હોમ સિરીઝના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ ત્રીજી જાન્યુઆરીથી 22મી માર્ચ સુધીમાં ઘરઆંગણે શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ દરમિયાન વન-ડે, ટી20 તથા ટેસ્ટ મેચના કુલ 19 મુકાબલા રમાશે. આમ ભારતીય ક્રિકેટર્સ માટે ભરચક શ્રોણી રહેશે અને આઇપીએલ પહેલાં સ્ટાર ખેલાડીઓને આરામ કરવાનો સમય મળશે નહીં. ટી20 મુકાબલા ત્રીજી, પાંચમી તથા સાતમી જાન્યુઆરીએ રમાશે. વન-ડે મેચો 10મી, 12મી તથા 15મી જાન્યુઆરીએ રમશે. શ્રીલંકા સામેની આ શ્રોણી માટે મુંબઇ, પૂણે, રાજકોટ, ગુવાહાટી, કોલકાતા તથા ત્રિવેન્દ્રમ મેચના સેન્ટર રહેશે.
શ્રીલંકા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતનો પ્રવાસ ખેડશે જેમાં તે ત્રણ વન-ડે અને ત્રણ ટી20 મુકાબલા રમશે. આ સિરીઝમાં પહેલી ફેબ્રુઆરીએ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે માટે ભારત આવશે. આ સિરીઝમાં પણ નવમી માર્ચથી 13મી માર્ચ સુધી ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચ સ્વરૂપે રમાય તેવી પૂરી સંભાવના છે.










