- ફોટોશૂટ દરમિયાન વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ તથા હાર્દિક પંડયા ગેરહાજર રહ્યા
- આઇપીએલ દરમિયાન આઇસીસી ઇવેન્ટ માટે ટીમની સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના
- ટોપ ઓર્ડરમાં વિકેટકીપરની જગ્યા નથી
જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની સંયુક્ત યજમાનીમાં આઇસીસી ટી20 વર્લ્ડ કપ રમાવાનો છે. આ ઇવેન્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત IPL દરમિયાન થાય તેવી સંભાવના છે. જોકે આઇપીએલના પ્રદર્શનનું ભારતીય ટીમની પસંદગી ઉપર વધારે કોઈ ફરક પડે તેમ નથી કારણ કે ધર્મશાલા ખાતે ઇંગ્લેન્ડ સામે રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલાં ટી20 વર્લ્ડ કપ માટેના પસંદ કરાયેલા ખેલાડીઓનું ફોટોશૂટ થયું હતું. ટેસ્ટ ટીમના ખેલાડીઓની સાથે અન્ય કેટલાક એવા ખેલાડીઓ હતા જેઓ પાંચમી ટેસ્ટનો હિસ્સો નથી. આ ફોટોશૂટથી કયા ખેલાડીની ટી20 વર્લ્ડ કપ માટેની ટિકિટ કન્ફર્મ થઈ ચૂકી છે તેનો અંદાજો આવી જાય છે. જોકે ખેલાડીઓના નામ ઉપર અંતિમ મહોર તો પસંદગી સમયે જ લાગશે. ફોટોસેશનમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા, જિતેશ શર્મા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, રિંકુસિંહ તથા અક્ષર પટેલ હાજર રહ્યા હતા. 15 સભ્યમાં બાકી રહેલા ત્રણ ખેલાડીઓમાં વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ તથા હાર્દિક પંડયાનો સમાવેશ થાય છે.
ધર્મશાલા ખાતે સાતમીથી ઇંગ્લેન્ડ સામે રમાનારી અંતિમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમે મંગળવારથી પ્રેક્ટિસનો પ્રારંભ કર્યો હતો. ખેલાડીઓ ફિલ્ડિંગ ડ્રિલ્સ ઉપર ધ્યાન આપવા ઉપરાંત નેટ્સમાં કેટલોક સમય પસાર કર્યો હતો.










