- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ
- ભારતે શરૂઆતની બંને મેચ જીતીને અજેય સરસાઈ મેળવી
- રોહિત શર્મા 150 T20I રમનાર ભારતનો પ્રથમ ક્રિકેટર
અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 સિરીઝ ભારતે જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની શરૂઆતની બંને મેચ જીતીને અજેય સરસાઈ મેળવી લીધી છે. ઈન્દોરમાં રવિવારે (14 જાન્યુઆરી) રમાયેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાન ટીમને 26 બોલ બાકી રહેતા 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પહેલા અર્શદીપ, અક્ષર અને રવિ બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી અને બાદમાં યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેએ શાનદાર ફિફટી ફટકારી હતી. આ જીતથી કેપ્ટન રોહિત શર્મા ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો.
રોહિતની 150મી T20
રોહિત શર્મા માટે આ મેચ બીજી રીતે ઘણી ખાસ હતી. આ તેની કારકિર્દીની 150મી T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી. રોહિત શર્મા આ શાનદાર આંકડા સુધી પહોંચનાર ટીમ ઈન્ડિયાનો પ્રથમ ક્રિકેટર છે. જો કે આ મેચમાં તે પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. રોહિત ખાસ પ્રસંગે ખરાબ ઇનિંગ્સથી નિરાશ થયો હતો, પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાએ મેચ જીતી તો તેની નિરાશા દૂર થઈ ગઈ. પ્રેઝન્ટેશન સેરેમનીમાં, તેણે તેની T20 કારકિર્દી અને ઈન્દોરમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શન વિશે ખૂબ જ આનંદ સાથે પ્રતિક્રિયા આપી.
'અમે જાણતા હતા કે અમે શું હાંસલ કરવા માગીએ છીએ'
રોહિતે કહ્યું, '150મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવી એક શાનદાર અનુભવ છે. તે ખૂબ લાંબી મુસાફરી હતી. તેની શરૂઆત વર્ષ 2007થી થઈ હતી. ઈન્દોરમાં ભારતીય ટીમના પ્રદર્શન પર તેણે કહ્યું, 'મને લાગે છે કે આજની મેચમાં અમે સ્પષ્ટ હતા કે અમે શું કરવા માગીએ છીએ અને અમે શું હાંસલ કરવા માગીએ છીએ. જ્યારે તમે આ પ્રકારનું પ્રદર્શન જુઓ છો, ત્યારે તમે ખૂબ જ ગર્વ અનુભવો છો.
જયસ્વાલ-દુબે અંગે રોહિતની પ્રતિક્રિયા
રોહિતે કહ્યું, 'શિવમ અને યશસ્વી માટે છેલ્લા એક-બે વર્ષ ખૂબ સારા રહ્યા છે. યશસ્વી ભારત માટે ટેસ્ટ અને T20 રમી રહ્યો છે. તેને જે તકો મળી રહી છે તેનો તે ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે. શિવમ દુબે પણ આવું જ કરી રહ્યો છે. તે એક પાવર હિટર છે અને સ્પિનર પર આક્રમણ કરી શકે છે. અમે તેને આવું કરવા કહ્યું અને તેણે અમારા માટે બે ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.