• ટીમના કોચ અને યુવા પહેલવાનો માટે અલગ-અલગ ફ્લાઇટમાં બુકિંગ કરાવાયું હતું

  • નવ મહિલા પહેલવાન અને ત્રણ કોચ શનિવારે ભારત પરત ફરવાના હતા
  •  ફ્લાઇટની સ્થિતિ અનુસાર તે સાંજે 6.18 વાગે રવાના થઇ હતી

ભારતની અંડર-17 મહિલા કુશ્તી ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ સ્વદેશ પરત ફરવાની ફ્લાઇટ છૂટી જવાને કારણે શનિવારે જોર્ડનની રાજધાની અમ્માનના એરપોર્ટ પર ફસાઇ ગઇ હતી. નવ મહિલા પહેલવાન અને ત્રણ કોચ શનિવારે ભારત પરત ફરવાના હતા, પરંતુ તેમનું બુકિંગ અલગ-અલગ ફ્લાઇટોમાં થયુ હતું. કોચ જય ભગવાન,

શિલ્પી શ્યોરાણા અને રેખા રાનીને દુબઇમાં રોકાનારી એમિરેટ્સની ફ્લાઇટમાં આવવાનું હતું જ્યારે યુવા પહેલવાનોનું બુકિંગ કતર એરવેઝમાં થયુ હતું. ભારતના કોચિસની ફ્લાઇટ સાંજે 6.10 વાગે રવાના થઇ રાત્રે 10.10 વાગે દુબઇ પહોંચવાની હતી. ત્યાંથી સવારે 3.55 વાગે તેમણે બીજી ફ્લાઇટ લઇ સવારે દિલ્હી પહોંચવાનું હતું. પહેલવાનોની ફ્લાઇટ રાત્રે 8.30 વાગે રવાના થવાની હતી અને તે રાત્રે 11.10 વાગે દોહા પહોંચવાની હતી પરંતુ ફ્લાઇટની સ્થિતિ અનુસાર તે સાંજે 6.18 વાગે રવાના થઇ હતી જોકે, આ સ્પષ્ટ થઇ શક્યું નહોતું કે ફ્લાઇટનો ટાઇમ ચેન્જ કરાયો હતો કે કેમ?

ભારતીય ટીમના એક સૂત્રે કહ્યું હતું કે યુવા મહિલા પહેલવાનોની ફ્લાઇટ છૂટી ગઇ હતી. આ વાતે ભ્રમની સ્થિતિ છે કે આખરે શું થયુ હતું. યુવા પહેલવાનો માટે અલગથી બુકિંગ નહોતું કરાવવું જોઇતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બધાનું સાથે જ બુકિંગ કરાવવું જોઇતુ હતું. યુવા પહેલવાનો બધી નાની વયની છે. એક સૂત્રે કહ્યું હતું કે આદર્શ સ્થિતિની વાત કરીએ તો ઓછામાં ઓછા એક કોચે તેમની સાથે હોવું જોઇતુ હતું.


  • Follow us on: