- સાંજે 5:45 વાગ્યે લખનઉથી ઉપડેલી ફ્લાઇટ રાત્રે 3:00 વાગ્યે વારાણસી પહોંચી
- રાત્રે 8:46 કલાકે કોલકાતામાં ભારે વરસાદ હોવાના કારણે વિમાનને ગુવાહાટી ડાઇવર્ટ કરવામાં આવી
- કોલકાતાની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સમાં મુંબઇ સામે રમ્યા બાદ અમદાવાદ આવશે
ખરાબ હવામાન અને ભારે વરસાદના વિઘ્નના કારણે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમનું વિમાન સોમવારે સાંજે કોલકાતામાં ઊતરી શક્યું નહોતું. તે લખનઉથી ગુવાહાટી અને ગુવાહાટીથી વારાણસી ચક્કર કાપતું રહ્યું હતું. કોલકાતાની ફ્લાઇટે સોમવારે સાંજે 5:45 વાગ્યે લખનઉથી ઉડાણ ભરી હતી અને કોલકાતા સાંજે 7:25 કલાકે ઉતરવાનું હતું પરંતુ વરસાદના કારણે વિમાનને લેન્ડિંગની મંજૂરી મળી નહોતી. રાત્રે 8:46 કલાકે ટીમને જાણકારી અપાઈ હતી કે કોલકાતામાં ભારે વરસાદ હોવાના કારણે વિમાનને ગુવાહાટી
ડાઇવર્ટ કરવામાં આવ્યું છે. ત્યારબાદ 9:43 કલાકે જાણકારી મળી હતી કે વિમાનને કોલકાતા પાછા જવાની મંજૂરી મળી છે અને રાત્રે 11:00 વાગ્યે કોલકાતા પહોંચશે. મોડી રાત્રે 1:15 કલાકે સૂચના અપાઈ હતી કે હવામાન ખરાબ છે અને વિમાનને ફરીથી ઉતરવાની મંજૂરી આપવામાં આવી નથી જેના કારણે પ્લેનને વારાણસી મોકલવામાં આવી રહ્યું છે. ટીમ મંગળવારે વહેલી સવારે 3:00 વાગ્યે વારાણસી પહોંચી હતી અને ખેલાડીઓને હોટેલમાં મોકલવામાં આવ્યા હતા. કોલકાતાની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સમાં 11મીએ મુંબઇ સામે રમ્યા બાદ ગુજરાત ટાઇટન્સ સામે 13મીએ રમાનારા મુકાબલા માટે અમદાવાદ આવશે.










