• સૂર્યકુમાર યાદવ દુલીપ ટ્રોફી પહેલા થયો ઈજાગ્રસ્ત
  • બુચી બાબુ ટૂર્નામેન્ટમાં તેને હાથમાં ઈજા થઈ હતી
  • હાલમાં તેને આરામની સલાહ આપવામાં આવી છે

ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ દુલીપ ટ્રોફી 2024-2025ના પહેલા તબક્કામાંથી બહાર થઈ ગયો છે. ગયા અઠવાડિયે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં મુંબઈ તરફથી રમતી વખતે તેને હાથમાં ઈજા થઈ હતી. હાલમાં, તેને આરામની સલાહ આપવામાં આવી છે અને તે ફિટનેસ પ્રક્રિયામાંથી પસાર થવા માટે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજર છે.

સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત

સૂર્યકુમાર યાદવ ગયા અઠવાડિયે TNCA XI માટે બીજી ઇનિંગમાં બેટિંગ કરી શક્યો ન હતો. મેચના ત્રીજા દિવસે તેને હાથમાં ઈજા થઈ હતી અને તે પછી તે ફિલ્ડિંગ કરવા મેદાનમાં પણ આવ્યો ન હતો. તે સમયે મુંબઈ ટીમના મેનેજમેન્ટે સ્વીકાર્યું હતું કે સૂર્યાને ગંભીર ઈજા થવાથી બચાવવા માટે તેને ફિલ્ડિંગ અને બેટિંગ માટે મોકલવામાં આવ્યો ન હતો.

ટેસ્ટ ટીમમાં વાપસીની આશા

સૂર્યકુમાર યાદવે હાલમાં જ ટેસ્ટ ટીમમાં વાપસીની આશા વ્યક્ત કરી હતી. તેણે છેલ્લા એક વર્ષમાં કોઈ ફર્સ્ટ ક્લાસ મેચ રમી નથી અને ટેસ્ટ ટીમમાં વાપસી કરવાના ઈરાદાથી તેણે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. સૂર્યકુમારની ઈજા એવા સમયે થઈ છે જ્યારે ભારતીય ટીમે આગામી 5 મહિનામાં 10 ટેસ્ટ મેચ રમવાની છે. આ તમામ મેચ મહત્વની રહેશે કારણ કે તેમાં જીત મેળવીને ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા સુરક્ષિત કરી શકે છે.

આ ખેલાડી પણ થયા બહાર

સૂર્યા ઉપરાંત મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકના રૂપમાં બે ફાસ્ટ બોલર પણ બીમારીના કારણે દુલીપ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે. રવિન્દ્ર જાડેજા પણ આ આગામી ટૂર્નામેન્ટનો ભાગ નહીં હોય, જેના પર BCCIએ કોઈ સ્પષ્ટતા કરી નથી. સિરાજ અને મલિકની જગ્યાએ નવદીપ સૈની અને ગૌરવ યાદવ રમતા જોવા મળશે.

  • Follow us on: