- મોહમ્મદ આમિરે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી
- આમિરે 4 વર્ષ બાદ એટલે કે 2024માં નિવૃત્તિ પાછી લીધી
- આમિર T20 વર્લ્ડકપ 2024ના અંત પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે
પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓનો નિવૃત્તિમાંથી વાપસી કરવાનો લાંબો ઈતિહાસ છે. T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત પહેલા જ મોહમ્મદ આમિરનું નામ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયું હતું. આમિરે માત્ર 28 વર્ષની ઉંમરે વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી.
નિવૃતિ પાછી લીધી
આમિરે 4 વર્ષ બાદ એટલે કે 2024માં નિવૃત્તિમાંથી પાછુ ફરવાનું નક્કી કર્યું. તેણે એપ્રિલમાં ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. હવે પાકિસ્તાની મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા છે કે વર્લ્ડકપ પૂરો થયા બાદ આમિર ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.
વર્લ્ડકપ પછી લેશે આ નિર્ણય
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, મોહમ્મદ આમિર T20 વર્લ્ડકપ 2024ના અંત પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. તે પછી તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમતા જોવા મળી શકે છે. આમિરની નિવૃત્તિની અફવા એવા સમયે આવી છે જ્યારે તે CPL 2024 સીઝન માટે એન્ટિગુઆ એન્ડ બાર્બુડા ફાલ્કન્સ નામની નવી ફ્રેન્ચાઇઝી સાથે જોડાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આમિર સિવાય CPLની આ નવી ફ્રેન્ચાઈઝીએ ઈમાદ વસીમ અને ફખર ઝમાનને પણ સાઈન કર્યા છે.
મોહમ્મદ આમિરે નિવૃત્તિ કેમ લીધી?
વાસ્તવમાં મોહમ્મદ આમિરે વર્ષ 2019માં જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. બીજા જ વર્ષે, તેણે મર્યાદિત ઓવરોની ક્રિકેટને અલવિદા કહીને કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તેની સાથે સારું વર્તન કરતું નથી. તમને જણાવી દઈએ કે ઘણા સમય પહેલા શાહિદ આફ્રિદીએ પણ PCB પર આવા જ આરોપ લગાવીને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી, પરંતુ તે પછી તેણે પણ વાપસી કરી હતી.
વાપસી બાદ આમિરનું પ્રદર્શન
મોહમ્મદ આમીરે આ વર્ષે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું. વાપસી બાદ અત્યાર સુધીમાં તેણે 10 મેચ રમી છે, જેમાં તે 10 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. નોંધનીય છે કે આમિરની બોલિંગમાં પહેલા જેવી ધાર નથી. T20 વર્લ્ડકપ 2024માં તેણે અત્યાર સુધી 3 મેચમાં 5 વિકેટ ઝડપી છે.