- BCCI અને ICCએ આજે વર્લ્ડકપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું
- ભારત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે
- ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં મુકાબલો થશે
આઈસીસીએ આખરે ભારતમાં આ વર્ષે 5મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટની પહેલી મેચમાં 2019 વર્લ્ડ કપના ફાઇનલિસ્ટ, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ આમને-સામને થશે. જ્યારે ભારત 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. મેગા ઈવેન્ટની મેચોની યજમાની માટે કુલ 10 અલગ-અલગ શહેરો તૈયાર છે. ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે અમદાવાદમાં ટકરાશે.
શેડ્યૂલની જાહેરાત કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વીરેન્દ્ર સેહવાગ અને મુથૈયા મુરલીધરન પણ હાજર હતા. વીરેન્દ્ર સેહવાગે એમએસ ધોનીની કપ્તાનીમાં ભારતની 2011ની વિશ્વ જીતની યાદોને પણ તાજી કરી હતી. આ દરમિયાન સેહવાગને ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી ચાર ટીમોની આગાહી કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. સાથે જ સેહવાગ અને મુરલીધરને 2023 વર્લ્ડ કપના ફાઇનલિસ્ટની પણ ભવિષ્યવાણી કરી છે.










