ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમતા જોવા મળી રહ્યા છે. આ સિરીઝની પ્રથમ મેચમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો નથી. જેના કારણે તેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો તેને નિવૃત્તિ લેવાની સલાહ પણ આપી રહ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે વિરાટ કોહલી ક્યારે નિવૃત્તિ લેશે.
કોહલીની નિવૃત્તિ વિશે કહી આ વાત
રાજકુમાર શર્માએ એક ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલીની નિવૃત્તિને લઈને મોટું નિવેદન આપ્યું છે. તે 2027માં યોજાનાર આગામી ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરશે. આ સિવાય તે હજુ 5 વર્ષ સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. કોચ રાજકુમાર શર્માના નિવેદનથી ફેન્સ ચોક્કસપણે ખુશ થશે. ચાહકો પણ ઇચ્છે છે કે વિરાટ કોહલી 2027માં યોજાનાર વર્લ્ડ કપમાં રમે.
ટૂંક સમયમાં ફોર્મમાં પરત ફરશે કોહલી
વિરાટ કોહલી એડિલેડ અને બ્રિસ્બેન ટેસ્ટ મેચમાં પોતાની જૂની ભૂલોનું પુનરાવર્તન કરતા બહાર થયો હતો. જેના કારણે મહાન ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કર ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે વિરાટ કોહલીને સચિન તેંડુલકરની 241 રનની ઈનિંગ્સમાંથી પ્રેરણા લેવાનું કહ્યું હતું. તેમના નિવેદન પર કોચ રાજકુમાર શર્માની પ્રતિક્રિયા સામે આવી છે.
2008થી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે કોહલી
તેણે કહ્યું, “વિરાટ કોહલી 2008થી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. માત્ર બે ઇનિંગ્સના આધારે તે ફોર્મમાં નથી તે કહેવું ખોટું છે. તેણે આ સિરીઝમાં સદી ફટકારી છે. બીજા કેટલા ખેલાડીઓએ સદી ફટકારી છે? તેણે આશા વ્યક્ત કરી કે વિરાટ કોહલી આવનારા સમયમાં જલ્દી જ કમબેક કરશે. ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી મેચ મેલબોર્નમાં રમાશે. આ મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે.