શનિવારે મુંબઈમાં બીસીસીઆઈ મુખ્યાલયમાં સિનિયર પુરુષ ક્રિકેટ ટીમના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ ગૌતમ ગંભીર, પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર, બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની, ઉપપ્રમુખ રાજીવ શુક્લા અને સંયુક્ત સચિવ દેવજીત સૈકિયા હાજર રહ્યા હતા. BCCI દ્વારા આયોજિત આ સમીક્ષા બેઠક દરમિયાન, વિરાટ-રોહિતના ઘરેલુ ક્રિકેટ ન રમવા અંગે પણ ચર્ચા થઈ હતી, ત્યારબાદ આ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

શું લેવાયો નિર્ણય ? 

પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે બીસીસીઆઈએ બંને સિનિયર ખેલાડીઓને ઘરેલુ મેચોમાં રમવાનો નિર્દેશ આપ્યો છે. બીસીસીઆઈએ અહેવાલ મુજબ કહ્યું છે કે જેઓ રેડ-બોલ ક્રિકેટ માટે પ્રતિબદ્ધ છે તેમણે રણજી ટ્રોફી મેચ રમવી જોઈએ. વિરાટ નવેમ્બર 2012 થી રણજી ટ્રોફી મેચ રમ્યો નથી. બીજી તરફ રોહિતે છેલ્લે 2015 માં રણજી ટ્રોફીમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 2018 થી ઘરેલુ ક્રિકેટથી દૂર છે. ભારતમાં રેડ બોલ ટુર્નામેન્ટ 23 જાન્યુઆરીથી ફરી શરૂ થશે.

તાજેતરમાં પૂર્ણ થયેલો ઓસ્ટ્રેલિયા પ્રવાસ રોહિત અને વિરાટ બંને માટે નિરાશાજનક રહ્યો. રોહિત પોતે ખરાબ ફોર્મને કારણે સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. સમગ્ર પ્રવાસ દરમિયાન તેણે પાંચ ઇનિંગ્સમાં ફક્ત 31 રન બનાવ્યા. બીજી બાજુ વિરાટે પર્થમાં ચોક્કસપણે સદી ફટકારી હતી. પરંતુ તેમ છતાં પણ જમણા હાથના બેટ્સમેને આખી શ્રેણીમાં ફક્ત 190 રન જ બનાવ્યા.
રાહુલ ઘરેલુ ક્રિકેટ નહીં રમે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી વનડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણી પહેલા વિરાટ અને રોહિત ઓછામાં ઓછી એક રણજી ટ્રોફી મેચ રમી શકે છે. ભારતીય બેટ્સમેન કેએલ રાહુલે ઘરેલુ ક્રિકેટ ન રમવાનો અને આરામ કરવાનો નિર્ણય લીધો છે. ભારતના ભૂતપૂર્વ ઉપ-કપ્તાન કર્ણાટક માટે વિજય હજારે ટ્રોફી ક્વાર્ટર ફાઇનલ રમ્યા ન હતા અને હવે રણજી ટ્રોફી મેચોમાં પણ રમશે નહીં. જો કે આ તલવાર તેના પર લટકી રહેશે નહીં કારણ કે જ્યારે તે રાષ્ટ્રીય ટીમમાં નથી હોતા ત્યારે તેઓ ઘરેલુ ક્રિકેટ રમતા જોવા મળે છે.

આ વિકેટકીપર-બેટ્સમેનને ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી અને ત્યારબાદ ચેમ્પિયન્સ ટ્રોફી માટે વનડે ટીમમાં સામેલ કરવામાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 T20 અને 3 ODI મેચની શ્રેણી રમાશે. ભારત તેની ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દુબઈમાં રમશે જ્યારે ઇંગ્લેન્ડ ભારત સાથે દ્વિપક્ષીય શ્રેણી રમ્યા પછી પાકિસ્તાન જશે.
  • Follow us on: