- વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
- ટીમ ઈન્ડિયાએ તમામ 8 મેચો જીતી છે
- ગાંગુલીએ કેપ્ટન રોહિતને લઈને આપ્યું નિવેદન
ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે લીગ સ્ટેજથી અત્યાર સુધી 8 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. હવે ટીમ ઈન્ડિયાએ એક લીગ મેચ રમીને સેમીફાઈનલ માટે તૈયારી કરવાની છે. ભારતે સમગ્ર વિશ્વ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયાથી લઈને દક્ષિણ આફ્રિકા સુધીની ટીમોને એકતરફી રીતે હરાવ્યા છે. ભારતીય ક્રિકેટના આ પ્રદર્શનનો શ્રેય કેપ્ટન રોહિત શર્માને જાય છે, જેમણે પોતાની સ્ટાઈલથી ટીમને આગળ વધારી છે. જો કે એક સમય એવો હતો જ્યારે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરવા માંગતા ન હતા.
રોહિતની કેપ્ટન્સી અંગે ગાંગુલીએ કહી આ વાત
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કોલકાતામાં આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે જ્યારે તેઓ BCCIના અધ્યક્ષ હતા ત્યારે તેમના મતે વિરાટ કોહલી બાદ રોહિત શર્મા ટીમની કમાન સંભાળનાર શ્રેષ્ઠ ખેલાડી હતા. આ કારણોસર, ગાંગુલીએ રોહિતને કેપ્ટનશિપ લેવા માટે વિનંતી કરી હતી, પરંતુ રોહિત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરવા તૈયાર ન હતો, કારણ કે તે દરેક ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા. તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતા હતા, ભારે વર્કલોડને કારણે રોહિતને કેપ્ટનશિપ કરવામાં રસ નહોતો, પરંતુ સૌરવ ગાંગુલીએ તેમને મનાવી લીધા હતા.
રોહિતને ગાંગુલીએ સમજાવ્યા હતા
સૌરવ ગાંગુલીએ આપેલા નિવેદનમાં કહ્યું, "મેં તેમને કહ્યું હતું કે તમારે હા કહેવું પડશે, નહીં તો હું હા કહીશ.", ગાંગુલીએ રોહિતને સમજાવતા કહ્યું કે જુઓ, મને ખબર છે કે તમારા પર વર્કલોડ છે. આટલી બધી મેચો અને IPLમાં કેપ્ટનશિપ કરી, પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપથી મોટું કંઈ નથી." ગાંગુલીના કહેવા પ્રમાણે, આટલી સમજાવટ પછી રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી, અને આજે આપણે તેનું પરિણામ જોઈ શકીએ છીએ. તેમણે કહ્યું કે, હું શરૂઆતથી જ જાણતો હતો કે વિરાટ કોહલી બાદ આ સમયે ટીમ ઈન્ડિયામાં કેપ્ટનશિપનો કોઈ સારો વિકલ્પ નથી, તેથી વર્લ્ડકપમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જોઈને મને બિલકુલ આશ્ચર્ય નથી થયું.