હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં આપણને ધૌમ્ય નામના ઘણા ઋષિઓનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાંથી એક ધાર્મિક ગ્રંથોના લેખક પણ છે, પરંતુ સૌથી પ્રખ્યાત ઋષિ તે છે કે જે દેવલના નાના ભાઈ હતા અને પાંડવોના કુલપુરોહિત હતા.
તેમને અયોદધૌમ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ધૌમ્ય ઋષિ પાંડવોના કુલપુરોહિત, કૃષ્ણના પ્રેમી અને શિવના મહાન ભક્ત હતા. તેમણે ઘણાં વર્ષો સુધી તપસ્યા કરી અને બ્રહ્મજ્ઞાન અને વૈદિક મંત્રોના અભ્યાસમાં પોતાની નિપુણતા સ્થાપિત કરી હતી. તે પ્રજાપતિ કુશાશ્વ અને ધિષીણાના પુત્ર હતા અને ઋષિ દેવલ, વેદશિર વગેરેને તેમના ભાઈ માનવામાં આવતા હતા. દેવગુરુ બૃહસ્પતિ જેટલું જ સન્માન મળતાં, તેમને પાંડવોના કુટુંબ ગુરુ અને ઉપમન્યુ, આરુણી, પંચાલ અને વૈદના શિક્ષક તરીકે માન આપવામાં આવતું હતું. એવું પણ માનવામાં આવે છે કે ધૌમ્ય ઋષિ પાંડવોના ખૂબ જ મોટા શુભેચ્છક હતા અને તેમનાં બધાં કાર્યો પાંડવોના હિતમાં કરવામાં આવતાં હતાં.
તેમણે અયોધ્યાની સીમમાં, હાલના બિહારના સમસ્તીપુર જિલ્લામાં આવેલા ધામણ નામના ગામ પાસે, ગંગાના કિનારે પોતાનો આશ્રમ સ્થાપ્યો. આ આશ્રમ માત્ર તપસ્યાનું કેન્દ્ર જ નહોતું, પરંતુ જ્ઞાન અને ધર્મનું વાહક પણ હતું. મહાભારતમાં વર્ણવેલ વિવિધ પ્રસંગો અનુસાર, પાંડવોના જીવનના દરેક વળાંકમાં ધૌમ્ય ઋષિનો હાથ હતો. તેમના વનવાસ દરમિયાન, જ્યારે પાંડવો દુર્યોધન અને શકુનિ દ્વારા બનાવેલા લાક્ષાગૃહમાંથી જીવ બચાવીને ભાગી રહ્યા હતા, ત્યારે તેમને એક બ્રાહ્મણ પાસેથી માહિતી મળી કે પાંચાલ રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદી માટે સ્વયંવરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્વયંવરમાં ભાગ લેવાના વિચાર સાથે આગળ વધતાં, પાંડવોને સમજાયું કે કુલપુરોહિતની ગેરહાજરીને કારણે તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે.
ગંગા પાર કરતી વખતે અર્જુનનું ચિત્રરથ નામના ગંધર્વ સાથે યુદ્ધ થયું. અર્જુન દ્વારા ચિત્રરથનો પરાજય થયા પછી, તે પાંડવોનો શ્રેષ્ઠ મિત્ર બન્યો. તેમના મિત્રની સલાહ મુજબ ઉત્કોચક તીર્થમાં રહેતા ઋષિ ધૌમ્યને તેમના પુરોહિત બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. પાંડવોએ રાજીખુશીથી ધૌમ્ય ઋષિને તેમના પુરોહિત તરીકે સ્વીકાર્યા.
વનવાસ દરમિયાન ધૌમ્ય ઋષિ પાંડવો સાથે પ્રવાસ કરતા હતા. આ ક્રમમાં તેમને પાંચાલીના સ્વયંવરમાં ભાગ લેવા માટે પાંડવોના પુરોહિત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. લગ્ન સમયે જ્યારે માતા કુંતીને દરવાજા પર જાણ કરવામાં આવી કે એક નવી વસ્તુ લાવવામાં આવી છે, ત્યારે કુંતીએ તેને પાંચ ભાઈઓમાં વહેંચીને તેનો આનંદ માણવા વિનંતી કરી. તે જ પ્રસંગે ઋષિ ધૌમ્યએ યુધિષ્ઠિરથી સહદેવ સુધીના પાંચ પાંડવો સાથે દ્રૌપદીનાં લગ્ન સમારોહનું સંચાલન કર્યું.
ધૌમ્ય ઋષિએ માત્ર લગ્નવિધિ જ નહીં, પરંતુ પાંડવોના પુત્રોના જાતકર્મ, ઉપનયન વગેરે વિધિઓ પણ કરી. દ્યુતક્રીડાની રમત હાર્યા પછી જ્યારે પાંડવો બાર વર્ષ માટે વનવાસ પર ગયા, ત્યારે તેમણે પાંડવોને સંતુષ્ટ કરવા અને અક્ષયપાત્ર મેળવવાની સલાહ પણ આપી. જ્યારે યુધિષ્ઠિર પવિત્ર સ્થળોની યાત્રા પર નીકળ્યા, ત્યારે ઋષિ ધૌમ્ય તેમની સાથે ગયા અને તેમને ચારેય દિશાઓમાં આવેલાં વિવિધ તીર્થસ્થાનોનો વિગતવાર પરિચય આપ્યો.
લોમાશ ઋષિ અર્જુનના સંદેશવાહક બન્યા અને સમાચાર આપ્યા કે પાંડવોમાંથી એકે ભગવાન શિવને પ્રસન્ન કર્યા છે અને પશુપતાસ્ત્ર જેવાં દૈવી શસ્ત્રો પ્રાપ્ત કર્યાં છે. તે ટૂંક સમયમાં પાછા ફરશે. લોમાશે પણ તીર્થયાત્રા પર જવાની ઇચ્છા વ્યક્ત કરી. વનવાસ દરમિયાન જ્યારે બકાસુરના ભાઈ કિરમીરે જાદુઈ શક્તિઓ દ્વારા પાંડવોને હરાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઋષિ ધૌમ્યએ તે જાદુઈ શક્તિઓને નિષ્ફળ બનાવી દીધી.
બીજી એક ઘટનામાં સિંધુ દેશના રાજા અને દુર્યોધનના સાળા જયદ્રથ, પાંડવોની ગેરહાજરીમાં દ્રૌપદી પાસે આવ્યા. દ્રૌપદીએ તેમનું સ્વાગત કર્યું, પરંતુ જ્યારે જયદ્રથે દ્રૌપદીને પોતાની સાથે આવવા કહ્યું, ત્યારે દ્રૌપદીએ તેમને ના પાડી. આ સાંભળીને ધૌમ્ય ઋષિએ જયદ્રથને ઠપકો આપ્યો અને તેને તેની ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો. પાંડવોના વનવાસ દરમિયાન ઋષિ ધૌમ્યએ વિરાટ દેશમાં વનવાસના નિયમો સમજાવ્યા. તેમણે આશિષોમ કર્મ કર્યું અને વૈદિક મંત્રોના જાપ દ્વારા પાંડવોની સાર્વત્રિક પ્રગતિ અને રાજ્ય પ્રાપ્તિનો માર્ગ મોકળો કર્યો. મહારાજા યુધિષ્ઠિરના રાજ્યાભિષેક પ્રસંગે ઋષિ ધૌમ્યએ તેમને રાજધર્મનો ઉપદેશ આપ્યો. યુધિષ્ઠિર ઋષિ ધૌમ્ય સાથે ભીષ્મને મળવા ગયા, જે બાણશય્યા પર સૂતેલા હતા. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ધૌમ્ય ઋષિની હાજરી અનિવાર્ય હતી. અહીં તેમણે વાતાપિનું યોગ્ય સ્થાન નિર્દેશિત કર્યું અને પોતે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કર્યો.
પાંડવો સાથે સંકળાયેલી ઘણી ઘટનાઓ અને ધાર્મિક વિધિઓમાં ધૌમ્ય ઋષિનું જીવન પ્રતિબિંબિત થાય છે. તેમના દ્વારા કરવામાં આવેલાં લગ્ન, જાતકર્મ, ઉપનયન અને અન્ય ધાર્મિક વિધિઓ દ્વારા પાંડવોનું જીવન ધર્મ, જ્ઞાન અને નૈતિકતા તરફ આગળ વધ્યું. તેમની તપસ્યા, વૈદિક મંત્રોના પાઠ અને જ્ઞાનના માર્ગદર્શનથી પાંડવોનો વનવાસ સરળ બન્યો એટલું જ નહીં, કુરુક્ષેત્ર યુદ્ધ અને રાજ્યાભિષેક જેવાં મહત્ત્વપૂર્ણ કાર્યોમાં પણ તેમનું યોગદાન અજોડ હતું.