• યંત્રોમાં દેવી-દેવતાઓની શક્તિ રહેલી છે. તેથી યંત્ર પૂજન કરવાથી ખૂબ જ લાભ થાય છે. ભગવાન ગણેશના શ્રી ગણેશયંત્ર અને દાંપત્યસુખકારક મંગળ યંત્રના પ્રભાવ વિશે જાણીએ.

શ્રી ગણેશયંત્ર

સર્વ સિદ્ધિદાયક તથા અલગ-અલગ પ્રકારની ઉપલબ્ધિઓ તથા સિદ્ધિઓ આપનારું યંત્ર છે. તેમાં દેવતાઓના પ્રધાન ગણાધ્યક્ષ ગણપતિનું ધ્યાન કરવામાં આવે છે. એક હાથમાં પાસ, એક હાથમાં અંકુશ, એક હાથમાં મોદક તથા વરદ મુદ્રામાં સુશોભિત એક દંત, ત્રિનેત્ર અને સોનાના સિંહાસન પર બિરાજમાન ગણપતિની સ્તુતિ કરવામાં આવે છે. આ યંત્રના પ્રભાવથી તથા ભક્તની આરાધનાથી તેઓ ભક્ત પર રિદ્ધિ-સિદ્ધિની વર્ષા કરે છે. સાધકને ઈષ્ટકૃપાની અનુભૂતિ થવા લાગે છે. તેનાં કાર્યોમાં આવનારાં વિઘ્નો સમાપ્ત થઈ જાય છે, વ્યક્તિને અઢળક ધન, યશ, કીર્તિની પ્રાપ્તિ થાય છે. રવિપુષ્ય, ગુરુપુષ્ય નક્ષત્રમાં અથવા ગણેશચતુર્થીના દિવસે આ યંત્રનું નિર્માણ કરવામાં આવે છે. આ જ સમયમાં આ યંત્રની પૂજા-અર્ચના કરવાથી બધી જ મનોકામનાઓ સિદ્ધ થાય છે.

દાંપત્ય સુખકારક મંગળ યંત્ર

વિવાહયોગ્ય પુત્ર અથવા પુત્રીના વિવાહમાં વિઘ્ન આવવાં, પુત્ર અથવા પુત્રીએ સામાજિક બંધનો અને મર્યાદાઓ તોડીને લગ્ન કર્યાં હોય તે પછી પતિ-પત્ની વચ્ચે તકરાર થવી, દંપતીને કોઈ ને કોઈ કારણસર સંતાન ન થવાં, વારંવાર ગર્ભપાત થઈને સંતાનનું મૃત્યુ થવું, દેવું વધવું અને તે ચૂકવવા માટે દરબદર ઠોકર ખાવી, આપેલાં નાણાં પરત ન આવવાં વગેરે જેવાં કારણો માટે જ્યોતિષશાસ્ત્રમાં મંગળ વ્રતનું વિધાન છે. મંગળના વ્રતમાં મંગળ યંત્રની પૂજા આવશ્યક છે. આ યંત્રનો જમીન-મિલકતના વિવાદ તથા ઘરમાં હંમેશાં ક્લેશ રહેતો હોય ત્યારે પ્રયોગ કરવામાં આવે છે. આ સિવાય વાહનમાં આ યંત્ર પ્રતિષ્ઠિત કરવાથી દુર્ઘટનાની સંભાવના ખૂબ જ ઓછી થાય છે.


  • Follow us on: