પ્રશ્ન : મારી ઉંમર 28 વર્ષ છે. મેં સાંભળ્યું છે કે, વિટામિન ઇ કેપ્સ્યૂલનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. તેનો ઉપયોગ ક્યારે કરવો જોઇએ?
જવાબ : વિટામિન ઇ કેપ્સ્યૂલ ત્વચા માટે આશીર્વાદ છે. એ એન્ટિ ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. વિટામિન ઇ કેપ્સ્યૂલ સ્કિન પર ચમક લાવવાનું, સ્કિનને હાઇડ્રેટ કરવાનું, ખીલ અને એક્ને જેવી સમસ્યાને ઘટાડવાનું અને ચહેરા પર પડતી કરચલીઓને ઘટાડવામાં મદદ કરે છે. ચહેરા પર વિટામિન ઇ કેપ્સ્યૂલ લગાવતા પહેલાં ચહેરાને ફેસવોશથી ક્લીન કરી લો. પછી કેપ્સ્યૂલને ટાંકણીની મદદથી સાવધાનીપૂર્વક તોડો. પછી એમાંથી ઓઇલ કાઢીને આંગળીના ટેરવાની મદદથી ચહેરા પર લગાવો. લગાવ્યા બાદ હળવા હાથેથી સર્ક્યુલર મોશનમાં માલિશ કરો. આંખની નીચેના ભાગમાં પણ તમે માલિશ કરી શકો. એનાથી ડાર્ક સર્કલ ઓછા થશે. વિટામિન ઇ કેપ્સ્યૂલ દિવસ કરતાં રાત્રે લગાવવી જોઇએ. દિવસે લગાવવાથી સનબર્ન થવાની શક્યતા રહેલી છે અને રાત્રે લગાવવાથી જેટલો ફાયદો થાય છે એટલો દિવસે થતો નથી. જેમની ત્વચા ઓઇલી હોય તેમણે ચહેરા પર વિટામિન ઇ કેપ્સ્યૂલ લગાવતા પહેલાં પેચ ટેસ્ટ કરી લેવો જોઇએ. જો માફક ન આવે તો વિટામિન ઇ કેપ્સ્યૂલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. જેમને આ કેપ્સ્યૂલ અનુકૂળ હોય તેમણે નિયમિત રીતે વિટામિન ઇ કેપ્સ્યૂલનો ઉપયોગ કરવાથી ફાયદો થશે.










