ભગવાન બુદ્ધ બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા માટે વિહાર કરી રહ્યા હતા. તેઓ જ્યારે પાટલીપુત્રમાં પ્રવેશ્યા ત્યારે તેમના પરમ ભક્તોએ તેમનું બહુ ભાવભર્યું સ્વાગત કર્યું. લોકોએ યથાશક્તિ બુદ્ધ ભગવાનને ભેટસોગાદ આપવાનું નક્કી કર્યું. પાટલીપુત્રના રાજા બિંબિસારે પણ કીમતી હીરા અને મોતી તેમને ભેટ કર્યાં. ત્યારે બુદ્ધ ભગવાને એક હાથે આ ભેટને સ્વીકારી. ત્યારબાદ મંત્રીઓ, શેઠો ને શાહુકારોએ ભગવાનને પોતાના ઉપહાર સમર્પિત કર્યા. આ ભેટસોગાદને પણ બુદ્ધ ભગવાને એક હાથે જ સ્વીકારી. ત્યારબાદ પાટલીપુત્રની સામાન્ય પ્રજાએ ભેટસોગાદો આપવાનું શરૂ કર્યું. બુદ્ધ ભગવાને સૌની ભાવનાને જોતાં સહર્ષ બધી જ ભેટસોગાદનો સ્વીકાર કર્યો, પણ બધી જ ભેટસોગાદ એક જ હાથે સ્વીકારી.
બુદ્ધ ભગવાનના સ્વાગતની અને તેમને ભેટ આપવાની ગતિવિધિ ચાલુ હતી તેવામાં એક ગરીબ વૃદ્ધા લાકડીના ટેકે-ટેકે ચાલતાં ત્યાં આવી પહોંચી અને બુદ્ધ ભગવાનને પ્રણામ કર્યા. પછી આ વૃદ્ધા બોલ્યાં કે જે સમયે મને તમારા આગમનના સમાચાર મળ્યા તે સમયે હું આ દાડમનું ફળ ખાઈ રહી હતી. મારી પાસે બીજી કોઈ જ વસ્તુ નથી. હું બહુ જ ગરીબ છું. જ્યારે સમાચાર મળ્યા કે તમે પધાર્યા છો તો મેં તરત જ આ ફળ ખાવાનું બંધ કરી દીધું અને આ અડધું ખાધેલું ફળ જ તમારાં ચરણોમાં ધરાવવા માગું છું. જો તમે આ તુચ્છ ભેટનો સ્વીકાર કરશો તો હું મારાં સદભાગ્ય સમજીશ.










