• લેગ તથા ઓફ સ્પિનરની તુલનામાં ચાઇનામેન સ્પિનરને રમવો વધારે મુશ્કેલ હોય છે

લગભગ બે વર્ષ પહેલાં ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવની ઇન્ટરનેશનલ કારકિર્દી ખતમ થઈ રહી હોય તેવું લાગતું હતું અને આઈપીએલની પૂરી સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે તેને તક આપી નહોતી પરંતુ રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા, આકરી મહેનત તથા બોલિંગમાં કરેલા કેટલાક ફેરફારના કારણે કુલદીપ ભારતની યજમાનીમાં રમાનારા આઇસીસી વન-ડે વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમનો સભ્ય બની ગયો છે. એક સમય એવો હતો કે આઈપીએલમાં હરીફ બેટ્સમેનો ઉપરાછાપરી છગ્ગા મારતા હતા ત્યારે કુલદીપ ભાવુક બનીને રડી પડયો હતો તેવું પણ જોવા મળ્યું હતું. આજે આ સ્પિનર ભારતીય ટીમનો મુખ્ય સ્પિનર બની ગયો છે. પાકિસ્તાન સામે પાંચ વિકેટ ઝડપીને તેણે પોતાની ઉપયોગિતા સાબિત કરી દીધી છે. અજિત અગરકરની પસંદગી સમિતિએ અનુભવી લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ તથા બેટિંગમાં પણ ઉપયોગી બને તેવા સિનિયર ઓફ સ્પિનર આર. અશ્વિન કરતાં કુલદીપને વધારે પ્રાધાન્ય આપ્યું છે જેણે પસંદગીકારોનો વિશ્વાસ યથાર્થ સાબિત કરી દીધો છે. ખરાબ સમયમાં હતાશ થવાના બદલે કુલદીપે નેશનલ ક્રિકેટ એકેડેમીના નિષ્ણાતો સાથે વાતચીત કરીને તેની બોલિંગ ટેક્નિક ઉપર કાર્ય કર્યું હતું જેના કારણે આજે તે થોડીક ઝડપથી બોલ ફેંકી શકે છે જેના કારણે બેટ્સમેનો દ્વિધામાં મુકાઈ જાય છે. એક ખરાબ આઈપીએલના કારણે કુલદીપ પોતાના લક્ષ્યાંકથી દૂર થઈ ગયો હતો પરંતુ હવે તે ધીમે ધીમે પોતાના ટાર્ગેટની નજીક પહોંચી ગયો છે.

વર્લ્ડ કપની ટીમ જેવી જાહેર થઈ એટલે તરત જ ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને નિષ્ણાતો વચ્ચે કુલદીપ અને ચહલમાંથી બેસ્ટ કોણ તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ઘણાનું કહેવું છે કે ચહલ સાથે પસંદગી સમિતિએ અન્યાય કર્યો છે. હરભજને પણ સ્ટેટમેન્ટ કર્યું હતું કે ચહલ વર્તમાન સમયમાં ભારતનો બેસ્ટ સ્પિનર હોવા છતાં તેની ટીમમાં સ્થાન નહીં આપીને સિલેક્ટર્સે વર્લ્ડ કપ પહેલાં જ મોટી ભૂલ કરી છે કારણ કે ભારતની પિચ ઉપર કુલદીપ કરતાં ચહલ વધારે સફળ રહેશે. ભારત પાસે અત્યારે છ એક્ટિવ સ્પિનર્સ છે અને વન-ડેમાં તેમના આંકડા ઉપર નજર નાખીએ તો ડાબોડી સ્પિનર રવીન્દ્ર જાડેજા ટોચના ક્રમે છે. એક બાબત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે જાડેજા ટીમમાં સ્પિનર તરીકે નહીં પરંતુ ઓલરાઉન્ડર તરીકે રમે છે અને તેના વિના ટીમની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ટીમમાં જ્યારે સ્પિનરને પસંદ કરવાની વાત આવે છે ત્યારે જાડેજા આ યાદીમાં હોતો નથી. વન-ડેમાં જાડેજા 181 વન-ડેમાં 199 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે. કુલદીપ 88 વન-ડેમાં 25 રનમાં છ વિકેટના બેસ્ટ પ્રદર્શનથી અને 5.11ની એવરેજથી 150 વિકેટ ઝડપી ચૂક્યો છે.

ઓલરાઉન્ડર જાડેજા ઉપરાંત ઓફ સ્પિનર અશ્વિન પણ કુલદીપ અને ચહલ કરતાં વધારે વિકેટ ઝડપી ચૂક્યો છે અને તે એક્ટિવ ક્રિકેટર પણ છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને કોચ પણ અશ્વિનને ટીમમાં સામેલ કરવાની વકીલાત કરી ચૂક્યા છે પરંતુ કોહલી-શાસ્ત્રીની જોડી હોય કે રોહિત-દ્રવિડની જોડી, બંનેમાંથી કોઈ અશ્વિનને ટીમમાં અગમ્ય કારણોસર રાખવા માગતા નથી. આ કારણથી અશ્વિન છેલ્લા છ વર્ષમાં માત્ર 11 વન-ડે જ રમ્યો છે. અશ્વિન નીચલા ક્રમનો ઉપયોગી બેટ્સમેન પણ છે. ધોની જ્યારે સુકાની હતો ત્યારે કુલદીપ અને ચહલની જોડી કુલચા તરીકે જાણીતી બની હતી પરંતુ 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર્યા બાદ ટીમ મેનેજમેન્ટે નવા સ્પિનરને તક આપવાની શરૂઆત કરી દીધી હતી. ચહલ ટી20માં જેટલો અસરકારક છે તેટલો વન-ડેમાં નહીં હોવાના કારણે 2023ના વર્લ્ડ કપ માટેની ટીમ પસંદ થઈ ત્યારે આ બાબત તેના માટે નકારાત્મક પાસું બન્યું છે. ત્રણ વર્ષ સુધી ભારત પાસે ક્વોલિટી સ્પિનર્સનો અભાવ રહ્યો હતો અને પસંદગી સમિતિ વધુ એક વખત કુલચા તરફ પાછી ફરી હતી. 2022માં ચહલને 14 વન-ડે રમવા મળી હતી જેમાં તેણે 21 વિકેટ પોતાના નામે કરી હતી પરંતુ ચાલુ વર્ષે તેને બે જ વન-ડે મેચ રમવા મળી છે. કુલદીપે 2022માં આઠ મેચમાં 12 વિકેટ ઝડપી હતી અને 2023માં તે અત્યાર સુધીમાં 30 પ્લસ વિકેટ ઝડપી ચૂક્યો છે. કુલદીપનું સૌથી મોટું પાસું તે ચાઇનામેન બોલર છે અને આ પ્રકારના બોલર્સ ભાગ્યે જ જોવા મળે છે. જો ચાઇનામેન, લેગ કે ઓફ સ્પિનર એક જ સમયે પોતાનું સર્વશ્રોષ્ઠ પ્રદર્શન કરી રહ્યા હોય તો સૌથી મોટો મુશ્કેલ બોલર ચાઇનામેન રહે છે જે કુલદીપ છે. ચહલ અને કુલદીપના આંકડા લગભગ બરાબર છે પરંતુ ચાઇનામેન હોવાના કારણે પસંદગીકારોએ કુલદીપને પ્રાધાન્ય આપ્યું છે અને તે વર્લ્ડ કપમાં સારો દેખાવ કરીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરશે તેવી આશા છે.

  • Follow us on: