જ્યારે પ્રકૃતિની વાત આવે છે ત્યારે `હિલસ્ટેશનોની રાણી' તરીકે જાણીતું કોડાઇકેનાલ (Kodaikanal) લોકોનું મન મોહી લે છે. તે પશ્ચિમ ઘાટની પલાની પહાડીઓમાં દરિયાઈ સપાટીથી આશરે 2,133 મીટર (7,000 ફૂટ)ની ઊંચાઈ પર સ્થિત છે. આ જગ્યા પ્રકૃતિપ્રેમીઓ માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર રહી છે. પહાડોની શાંતિ અને પ્રકૃતિની રમણીયતા પ્રવાસીઓને તેમના રૂટિનના ટેન્શનવાળા વાતાવરણથી દૂર લઇ જઇને શાંતિનો અનુભવ કરાવે છે. કોડાઇકેનાલમાં હવે અઢળક સુંદર રિસોર્ટ ડેવલપ થયા છે, જે પ્રવાસીઓના રહેવાના અનુભવને યાદગાર બનાવી દે છે.
કોડાઇકેનાલનો રસપ્રદ ઇતિહાસ
કોડાઇકેનાલનો ઇતિહાસ અન્ય પ્રાચીન શહેરો કરતાં થોડો અલગ છે: સ્થાપના: ઈ.સ. 1845માં અમેરિકન મિશનરીઓ અને બ્રિટિશ અમલદારો દ્વારા કોડાઇકેનાલની સ્થાપના કરવામાં આવી હતી. આજે પણ ત્યાં મોટાભાગના બાંધકામ બ્રિટિશ શૈલી પ્રમાણે જ બને છે. ગરમીથી બચવા માટેનો આશ્રય: દક્ષિણ ભારતની બળબળતી ગરમી અને મલેરિયા જેવા રોગોથી બચવા માટે અંગ્રેજોએ આ ઠંડા પહાડી વિસ્તારને `સમર રિસોર્ટ' તરીકે વિકસાવ્યો હતો. ત્યાં પહોંચવાનો રસ્તો બનાવવાનું શ્રેય ભારતીય કારીગરો અને બ્રિટિશર્સને ફાળે જાય છે. નામનો અર્થ: તમિલ ભાષામાં `કોડાઇકેનાલ'નો અર્થ `જંગલની ભેટ' થાય છે.
કોડાઇકેનાલમાં ફરવાલાયક મુખ્ય સ્થળો
1. કોડાઇકેનાલ લેક
શહેરના હૃદયસમા આ કૃત્રિમ સરોવરમાં બોટિંગ કરવાનો અનુભવ અદ્ભુત છે. લેકની ચારે બાજુ સાઇકલિંગ કે ઘોડેસવારી કરવાની પણ ખૂબ મજા પડે છે.
2. કોકર્સ વોક
પહાડની ધાર પર બનાવેલો 1 કિલોમીટર લાંબો વોકિંગ પાથ, જ્યાંથી નીચેની ખીણો, વાદળો અને સુંદર નજારો સ્પષ્ટ દેખાય છે.
3. પિલર રોક્સ
122 મીટર (400 ફૂટ) ઊંચા ત્રણ વિશાળ ખડકોની આ શૃંખલા કોડાઇકેનાલનું મુખ્ય આકર્ષણ છે. અહીં ધુમ્મસ અને પહાડોની જુગલબંધી જોવા મળે છે.
4. બ્રાયન્ટ પાર્ક
લેકની નજીક આવેલો આ એક સુંદર બોટનિકલ ગાર્ડન છે, જ્યાં હજારો જાતનાં રંગબેરંગી ફૂલો અને વૃક્ષો આવેલાં છે.
5. સિલ્વર કેસ્કેડ ધોધ
કોડાઇકેનાલમાં પ્રવેશ કરતી વખતે રસ્તામાં આવતો આ સુંદર ધોધ પ્રવાસીઓને આકર્ષે છે. તેની આસપાસનું દૃશ્ય પણ અદ્ભુત હોય છે.
6. બિયર શોલા ફોલ્સ અને ગુના કેવ્સ
કુદરતી સૌંદર્ય અને એડવેન્ચરના શોખીનો માટે આ જગ્યાઓ ખૂબ જાણીતી છે. કુદરતના ખોળામાં શાંતિ અને હરિયાળીનો આનંદ માણવા માટે કોડાઇકેનાલ એક પર્ફેક્ટ ડેસ્ટિનેશન છે!
કોડાઇકેનાલ જવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચનો છે જો તમને ઠંડી અને આહ્લાદક હવામાન ગમતું હોય તો આ સમય શ્રેષ્ઠ છે. એપ્રિલથી જૂનમાં ગરમીથી રાહત જોઇતી હોય તો ગુજરાતીઓએ આ સમય પસંદ કરવો. આ સમયે વાતાવરણ ખૂબ જ સોહામણું રહે છે. વરસાદ દરમિયાન ત્યાં પ્રકૃતિ ખીલી ઊઠે છે, પરંતુ પહાડી રસ્તાઓ પર લપસણ અને ભૂસ્ખલનનો ભય રહેતો હોય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો