ઉત્ક્રાંતિને ઇવોલ્યુશન પણ કહેવામાં આવે છે. ઉત્ક્રાંતિને સાદી ભાષામાં સમજીએ તો સમય જતાં સજીવોની શારીરિક, જૈવિક અને જનીનિક રચનામાં આવતું ક્રમિક અને સતત પરિવર્તન. પૃથ્વી પર જીવનની શરૂઆત ખૂબ જ સરળ, એકકોષીય સજીવોથી થઈ હતી. કરોડો વર્ષો દરમિયાન પર્યાવરણમાં થયેલા ફેરફારો સામે ટકી રહેવા માટે સજીવોમાં બદલાવ આવતા ગયા અને તેમાંથી આજે જોવા મળતી જટિલ વનસ્પતિઓ અને પ્રાણીઓની વિવિધતા વિકસી.
ચાર્લ્સ ડાર્વિને `કુદરતી પસંદગીનો સિદ્ધાંત' રજૂ કરીને ઉત્ક્રાંતિની પ્રક્રિયા સમજાવી હતી. આ સિદ્ધાંત મુજબ, જે સજીવો પોતાના બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકે છે, તેઓ જ જીવિત રહે છે. તેઓ પોતાના ફાયદાકારક લક્ષણો પોતાની આવનારી પેઢીઓમાં ટ્રાન્સફર કરે છે.
