ન્યુમોનિયા એ શ્વસનતંત્રમાં ચેપને લીધે થાય છે. અત્યારે ભારત અને દુનિયામાં પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોનાં કુલ મૃત્યુમાં ન્યુમોનિયા એ મુખ્ય
કારણ છે. 2023ના IVACના રિપોર્ટ પ્રમાણે ન્યુમોનિયાને કારણે બાળકોમાં થતાં કુલ મૃત્યુનાં 70% મૃત્યુ દુનિયાના અંદાજીત15 દેશોમાં જોવા મળે છે. દુનિયામાં લગભગ 7,40,000 પાંચ વર્ષથી નીચેનાં બાળકોનાં મૃત્યુ દર વર્ષે ન્યુમોનિયાથી થાય છે.
- દર 43 સેકન્ડે એક બાળકનું મૃત્યુ ન્યુમોનિયાને લીધે થાય છે.
- ભારતમાં બાળકોમાં ન્યુમોનિયાને લીધે થતાં મૃત્યુની ટકાવારી દુનિયાનાં કુલ મૃત્યુની ટકાવારીના 20% છે.
- 2022ના સરવૅ પ્રમાણે દુનિયામાં ન્યુમોકાકેલ વેક્સિન (PCV) લગભગ 56% બાળકોમાં નહોતી.
- ન્યુમોનિયા એટલે ફેફસાંમાં બેક્ટેરિયા, વાઈરસ, ફંગસ, પેરાસાઈટના ઈન્ફેક્શનને કારણે આવતો સોજો.
ભારતમાં બાળકોમાં ન્યુમોનિયા થવાનાં જોખમી પરિબળો
- કુપોષિત બાળકોમાં, એચ.આઈ.વી. અને ઓરીથી પીડિત બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાના કારણે છે.
- હવામાં પ્રદૂષણ, બાળકનાં પેરેન્ટ્સ દ્વારા કરાતાં ધૂમ્રપાનથી, ઘરોમાં ગીચતા, ચોખ્ખા પાણી અને સ્વચ્છતાનો અભાવ.
- માતાનું ધાવણ છ મહિનાથી ઓછો સમય આપવાથી.
ભારતમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિ (ન્યુમોકોકસ) અને એચ.આઈ.બી. (H.I.B) એ બે બેક્ટેરિયામાંથી થતો ન્યુમોનિયા 60% બાળકોનાં મૃત્યુ માટે જવાબદાર છે.
ન્યુમોનિયાને કારણે અત્યારે દુનિયામાં પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં 15 ટકા બાળકોનાં મૃત્યુ થાય છે. દર વર્ષે 12 નવેમ્બરે વર્લ્ડ ન્યુમોનિયા ડે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ લોકોમાં ન્યુમોનિયા અને તેની ગંભીરતાની માહિતી પૂરી પાડવી અને તેને અટકાવવાના ઉપાયો સૂચવવામાં આવે છે. ન્યુમોનિયા એ ભારતમાં પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોમાં રસીકરણથી અટકાવી શકાય તેવા રોગ અને મૃત્યુનું મુખ્ય કારણ છે. ભારતમાં આ પ્રમાણ દુનિયાના ન્યુમોનિયાથી થતાં બાળકોનાં કુલ મૃત્યુના 20 ટકા જેટલું છે. ભારતમાં ન્યુમોનિયા છોકરીઓ કરતાં છોકરાઓમાં વધુ જોવા મળે છે.
WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના પ્રમાણે બાળકના શ્વાસોશ્વાસની પ્રક્રિયા એક મિનિટમાં નીચે પ્રમાણે હોય તો ન્યુમોનિયાની શક્યતા રહે છે.
- 2 મહિનાથી ઓછી ઉંમર, મિનિટમાં 60થી વધારે
- 2-11 મહિનાની ઉંમર, મિનિટમાં 50થી વધારે
- 12-59 મહિના, મિનિટમાં 40થી વધારે
કારણો
ન્યુમોનિયા મુખ્યત્વે વાઈરસ, બેક્ટેરિયા અને ફંગસને કારણે થાય છે. જેમાં Streptococcus Pneumonia બેક્ટેરિયા મુખ્ય કારણ છે. ત્યારબાદ H. Influenza-B અને RSV ચેપગ્રસ્ત બાળકમાં ન્યુમોનિયા થવાની શક્યતા વધારે હોય છે.
ન્યુમોનિયા અટકાવવાના ઉપાયો
- બાળકને છ મહિના સુધી ફક્ત માતાનું ધાવણ આપવું.
- બાળકોને પોષણયુક્ત આહાર આપવો.
- બાળકોને વિટામિન એ અને ઝિંક સપ્લિમેન્ટ આપવાં.
- હવામાં પ્રદૂષણ હોય ત્યારે માસ્ક પહેરાવવું.
- HIB, ન્યુમોકોકલ, ઓરી અને Pertussisનું રસીકરણ બાળકોમાં ન્યુમોનિયા અટકાવવા માટે જરૂરી છે.
ન્યુમોકોકલ રસી (Pneumococcal Vaccine) રસી પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોમાં આપવી જરૂરી છે. જેમાં બાળકની ઉંમર પ્રમાણે ચાર, ત્રણ, બે અથવા એક ડોઝ આપવામાં આવે છે.
જોખમી પરિબળો
- કુપોષિત બાળકો
- અપૂરતું રસીકરણ
- હવામાં પ્રદૂષણ
- ધૂમ્રપાન
- ઘરમાં ચૂલો સળગાવતા હોય વગેરે... ભારતમાં બાળકોને ન્યુમોનિયા થવાનાં જોખમી પરિબળો છે.
લક્ષણો
- ખાંસી-ઉધરસ
- સતત વધારે પ્રમાણમાં તાવ આવવો
- શ્વાસોશ્વાસમાં તકલીફ થવી
- ખેંચ આવવી
- બેભાન થઈ જવું
- ખોરાક ન લઈ શકવો.










