વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને જાણીતા ઉદ્યોગસાહસિક એલોન મસ્કનું ચંદ્ર પર ૧૦ લાખથી વધુ લોકોની વસ્તી ધરાવતું એક ભવ્ય શહેર બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન મુશ્કેલીમાં મુકાયું હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં 'ફ્રન્ટીયર્સ ઇન સ્પેસ ટેકનોલોજી' જર્નલમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસ અને સંશોધને વૈજ્ઞાનિક વર્તુળોમાં મોટી ચર્ચા જગાવી છે. આ સંશોધન મુજબ, ચંદ્ર પર ઉપલબ્ધ પાણીનો જથ્થો નાસાના નાના બેઝ સ્ટેશન માટે તો વર્ષો સુધી પૂરતો થઈ શકે છે, પરંતુ એલોન મસ્કના આ વિશાળ "સ્વ-વિકસિત" મહાનગરની પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અપૂરતો સાબિત થશે.

પાણીની અછત અને રિસાયક્લિંગની જરૂરિયાત

અભ્યાસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતું આ મહાનગર તેની દૈનિક જરૂરિયાતો, કૃષિ કાર્યો, ઉદ્યોગો અને ડેટા સેન્ટરો માટે ચંદ્ર પર ઉપલબ્ધ હાલના પાણીનો ઉપયોગ કરશે, તો તે માત્ર ૨.૪ વર્ષની અંદર જ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. આ ગંભીર સમસ્યામાંથી બહાર આવવા માટે કોઈપણ વસાહતે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ઉપયોગમાં લેવાતા અત્યંત કડક પાણી રિસાયક્લિંગ ધોરણો પર સંપૂર્ણપણે નિર્ભર રહેવું પડશે. જો આ રીસાયક્લિંગ પદ્ધતિને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવે, તો પાણીના અવક્ષયના આ સમયગાળાને વધારીને ૧૦૦ વર્ષ સુધી લંબાવી શકાય છે.

ચંદ્ર પર પાણીનો વાસ્તવિક જથ્થો અને વીજળીની વ્યવસ્થા

ફોર્બ્સના અહેવાલ અનુસાર, ચંદ્ર પર અંદાજે 34 મિલિયન ટન પાણી ઉપલબ્ધ છે, જ્યારે વૈજ્ઞાનિકોએ તેમની આગાહીઓ ૧ અબજ ટન પાણીના આધાર પર કરી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો ચંદ્ર પર કોઈ વિશાળ મહાનગરને બદલે માત્ર ૧,૦૦૦ લોકોનું એક નાનું ગામ સ્થાપિત કરવામાં આવે, તો હજારો વર્ષો સુધી પાણીની કોઈ જ અછત સર્જાશે નહીં. બીજી તરફ, ચંદ્ર પર વીજળી ઉત્પન્ન કરવા અંગે રાહતના સમાચાર છે. સંશોધકોના મતે, ચંદ્ર પર પ્રચૂર માત્રામાં સિલિકોન ઉપલબ્ધ હોવાથી ખાડાના શિખરો પર સૌર પેનલ બનાવીને સ્થાપિત કરી શકાય છે, જ્યાં સતત સૂર્યપ્રકાશ મળે છે. જો કે, લાખો લોકોની વસ્તી માટે ભવિષ્યમાં પરમાણુ વિભાજન શક્તિ (Nuclear Fission Power) ની પણ જરૂર પડશે.

આ પણ વાંચોઃ Meta : બાળકોની ઓનલાઈન સુરક્ષા, કેન્દ્ર સરકારના દબાણ બાદ મેટા સોંપશે બાળકોના A-ટુ-Z ડેટા