કાંકરેજના પ્રાથમિક શાળાના શિક્ષકોને ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય બનાવતા કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય અમૃત ઠાકોરએ શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરને પત્ર લખીને જણાવ્યું હતું કે, મારા મતવિસ્તાર કાંકરેજ તાલુકામાં પ્રાથમિક શાળાના અમુક શિક્ષકો ભાજપનાં સદસ્ય અભિયાનમાં સભ્ય બન્યા છે. કોઈપણ સરકારી કર્મચારીઓ રાજકીય પક્ષ સાથે જોડાઈ શકતા નથી. આના લીધે શિક્ષણ વિભાગની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉભા થાય છે. જેથી પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપર કાયદાકીય પગલા લઈને કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.
ભાજપની સદસ્યતા આપવા મુદ્દે વિવાદ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને ભાજપની સદસ્યતા આપવા મુદ્દે વિવાદ શરૂ થયો છે. આ મુદ્દે કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસ કરી અહેવાલ સોંપ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, શિક્ષકોના ઘરના સભ્યો સદસ્યતા અભિયાનમાં જોડાયેલા હતા.
જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાના ફોટા વાયરલ
ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અભિયાન મુદ્દે ભાજપના જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાના ફોટા વાયરલ થયા હતા. કિર્તીસિંહ વાઘેલાએ ફેસબુક પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “સદસ્યતા અભિયાન – 2024 અંતર્ગત આજ રોજ પ્રાધ્યાપકો, શિક્ષણક્ષેત્રના ગુરુજનો, સિનિયર આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બનાવ્યા.”









