ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ પર દેશ 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવે છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય સ્તરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં દેશના શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ઉત્કૃષ્ટ યોગદાન માટે કુલ 50 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમને સાંજે 4:15 વાગ્યે વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવશે.
કેટલા શિક્ષકોને અપાશે એવોર્ડ ?
આ એવોર્ડ વિજેતાઓમાં 28 રાજ્યો, 3 કેન્દ્રશાસિત પ્રદેશો અને 6 સંસ્થાઓના શિક્ષકોના નામ સામેલ છે. આ યાદીમાં 34 પુરૂષ અને 16 મહિલા શિક્ષકોનો સમાવેશ થાય છે, જેમાં 2 વિકલાંગ શિક્ષકો અને 1 શિક્ષક ખાસ જરૂરિયાતવાળા બાળકો (CWSN) સાથે કામ કરે છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વિભાગના 16 શિક્ષકો અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના 16 શિક્ષકોનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવશે.
કેમ આપવામાં આવે છે પુરસ્કાર ?
રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એવા શિક્ષકોને આપવામાં આવે છે જેમણે શિક્ષણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તેમના વિદ્યાર્થીઓને પ્રભાવિત કર્યા છે. જેના કારણે ભારતની શિક્ષણ વ્યવસ્થા આગળ વધી છે. આવા વિશિષ્ટ શિક્ષકોની સિદ્ધિઓના સન્માન માટે આ પુરસ્કારો આપવામાં આવે છે.









