ગીર સોમનાથ જિલ્લામાં ખાતરની કૃત્રિમ અછતના પગલે ખેડૂતો પરેશાન થયા છે. ત્યારે આ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિ મંત્રીને રજુઆત કરવામાં આવી છે. ખેડૂતોને ફરજિયાત નેનો ખાતર લેવા માટે ફરજ પાડવામાં આવી રહી છે તેવું ખેડૂતોનું કહેવું છે. ખાતર કંપનીઓ દ્વારા વિક્રેતાઓને દબાણ કરતાં વિક્રેતાઓએ ખાતર મગાવવાનું જ બંધ કર્યું છે.
ખેડૂતોને ખાતર માટે હાલાકી વેઠવાનો વારો
ઉલ્લેખનીય છે કે ઉનાળુ વાવેતરમાં ખાતરની તાતી જરૂરિયાત સમયે જ ખેડૂતોને ખાતર માટે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને તેની અસર પાક પર પડે છે. ઉલ્લેખનીય છે કે એક તરફ કૃષિ મંત્રી વિધાનસભામાં એવું કહે છે કે ખેડૂતોને નેનો ખાતર લેવું ફરજિયાત નથી અને બીજી તરફ ખાતર કંપનીઓ વિક્રેતાને ફરજિયાત નેનો ખાતર લેવા માટે દબાણ કરે છે અને વિક્રેતા ખેડૂતોને ફરજ પાડે છે, જેને લઈ વિક્રેતા અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. જો કે હાલમાં ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના વિક્રેતાઓએ ખાતર મગાવવાનું જ બંધ કરી દેતા ખાતરની કૃત્રિમ અછત સર્જાઈ છે અને હાલ ઉનાળુ વાવેતરના ખરા સમયે જ ખેડૂતોને ખાતર વગર હેરાન થવાનો વારો આવ્યો છે.









