- ડેસર તાલુકાના ઉદલપુરનું રેલવે ફાટક પાસે સર્જાય છે ભારે ટ્રાફિક
- સર્જાતી ટ્રાફિક સમસ્યાથી સ્થાનિક લોકો ત્રસ્ત છે
- તંત્રને અને પોલીસને અવાર-નવાર ટ્રાફિકને લઈ રજૂઆત કરાઈ છે
વડોદરાના ડેસર તાલુકાના ઉદલપુર રેલવે ફાટક પાસે ગોધરા- આણંદ રેલવે લાઈન પ્રોજેક્ટ માટે 9થી 11 ઓગસ્ટ ત્રણ દિવસ આ રેલવે ફાટક વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે,ત્રણ દિવસ ફાટક બંધ રહેતા હજારો વાહનો ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે.
ઓવરબ્રિજની કરાઈ માંગણી
ડાઈવર્ઝન તો આપવામાં આવ્યું છે પરંતુ વરસાદી સિઝનમાં આ ડાઈવર્ઝનના રસ્તા પર કાદવ-કીચડ અને ખાડાઓ સર્જાતા વાહનો ચાલી શકતા નથી,મહત્વનું છે કે ઉદલપુરમાં ફાટક પર રાજ્ય સરકાર દ્વારા 28 કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો,ટેન્ડર પ્રક્રિયા દ્વારા અગાઉ માર્ચમાં વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો હતો,છતાં રાજકીય આંટી ઘૂંટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ઓવરબ્રિજનું કામ ખોરંભે ચઢી ગયું છે,આમ પણ દિવસ દરમિયાન રેલવે ફાટક વારંવાર બંધ થતું હોવાના કારણે લોકો ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે,આ ફાટક પર ઓવરબ્રિજનું કામ શરૂં કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માગણી કર્યા છે.
20 લાખના ખર્ચે બન્યો હતો રોડ
ડેસર તાલુકાના વકતાપુરાથી શાંતિપુરાનો એક કરોડ 20 લાખના ખર્ચે મંજૂર થયેલો ડામર રોડ દોઢ મહિના પહેલા તા 19 જુને સાવલીના ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત કરીને કામની શરૂઆત કરાઈ હતી ટૂંકા સમયગાળામાં બે કિલોમીટરના માર્ગ ઉપર કોતર ઉપર નિર્માણ પામેલું નાળુ બંને તરફથી ધરાસાઈ થઈ જતા કામની હલકી ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે ડેસર વિસ્તારમાં હજુ જોઈએ તેટલો ધોધમાર વરસાદ વરસ્યો નથી છતાં નાળુ ધોવાઈ જતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ખાડાના કારણે કેટલાય નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા
ડેસરથી સાવલી 22 કિલોમીટરના માર્ગ ઉપર એટલી હદે ખાળા પડ્યા છે કે માત્ર 15 મિનિટમાં વાહન સાવલી પહોંચે તેની જગ્યાએ એક કલાક જેટલો સમય બરબાદ થાય છે અને વાહનોમાં મોટાપાયે નુકસાન થાય છે. બિમાર દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓને સાવલી દવાખાના સુધી લઈ જવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. એમ્બ્યુલન્સ પણ વહેલી તકે આ માર્ગ ઉપરથી પસાર થઈ શકતી નથી આ બિસ્માર માર્ગના કારણે અગાઉ અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે અને કેટલાય નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તંત્રને જ્યારે માર્ગના ખાડા બાબતે સ્થાનિકો ઉગ્ર રજૂઆત કરે છે, ત્યારે માત્ર કાચો માલ (મોરમ) નાખી ખાડા પુરી દેવાય છે અને તે બે ત્રણ દિવસમાં ખાડામાંથી બહાર નીકળી જાય છે.









